![]()
– કુંભનાથ-સુખનાથ વિસ્તારમાં પાણી ફરી વળ્યા
– રામપરા ગામે વોકળામાં દૂધનો ટેમ્પો તણાયો, ડ્રાઇવરનો આબાદ બચાવ, ધાતરવડીમાં બે કાંઠે પાણી
રાજુલા : રાજુલા-જાફરાબાદમાં શનિવાર સવારથી અવિરત કમોસમી વરસાદે જાણે માજા મુકી હોય ૧૦ ઇંચથી વધુ પાણી વરસ્યું હતું અને નદી નાળા છલકાયા હતાં. કુંભનાથ-સુખનાથના રહેણાકી વિસ્તાર ખાલી થાય તે પહેલા પાણી ફરી વળ્યા હતા તો રામપરા ગામે વોકળામાં પાણીના પ્રવાહમાં દૂધનો ટેમ્પો તણાયો હતો.
રાજુલા અને જાફરાબાદ તાલુકામાં શનિવાર સવારના દસ વાગ્યાથી શનિ, રવિ, સોમ આમ ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે તેમજ રવિવાર રાત્રિના બે વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધીમાં એક સાથે નવ ઇંચ વરસાદ પડયો છે જેના કારણે રાજુલા શહેરમાં રેનબો સોસાયટી, સૂર્ય બંગ્લોઝ, છતડીયા રોડ તેમજ નીચલી બજારમાં પાણી ભરાયા હતાં. આ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડયું છે તેમજ પીપાવાવ પોર્ટ અને ગ્રાય વિસ્તારમાં પણ ખુબ જ પાણી ભરાયા જોવા મળે છે તેમજ રામપરા ગામે દૂધનો ટેમ્પો દૂધ લેવા જતો હતો ત્યારે એક વોકળામાં ફસાયો અને જોરદાર પાણી આવી જતા ડ્રાઇવરનો આબાદ બચાવ ગામ લોકોએ કર્યો અને ટેમ્પો નદીમાં તણાઇ ગયો હતો તેમજ રાજુલા નજીક જાફરાબાદ તાલુકાનું સરોવડા ગામે વોકળામાં ટ્રેક્ટર લઇને જતા ટ્રેક્ટર તણાયું અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો તેમજ ધાતરવડી નદી ઉપર ડેમ નંબર ૨ જે ૩૫ દરવાજાનો ડેમ છે તેના ૧૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી ધાતરવડીમાં બે કાંઠે પાણી આવ્યું હતું. કુંભનાથ સુખનાથ મહાદેવની આજુબાજુના તમામ રહેણાક મકાનોને નોટીસો આપીને ખાલી કરવા માટે કહેલ પણ હજુ સુધી ખાલી કરે તે પહેલા ઘરમાં પાણી ઘુસી ગયા છે અને હો હા કરી મુકી છે. ડેમના સત્તાવાળાઓને સસ્પેન્ડ કરવા માંગણી ઉઠી છે.










