![]()
Parliament Winter Session 2025 : પહેલી ડિસેમ્બરથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થવાનું છે. આ દરમિયાન કેન્દ્ર સરકારને અનેક મુદ્દા પર ઘેરવા માટે વિપક્ષે પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે. તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટીએ મતદાર યાદીઓની ખાસ સુધારણા ઝુંબેશ (SIR)નો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સત્ર 19 ડિસેમ્બર સુધી યોજાવાનું છે, જેમાં કેન્દ્ર સરકારે પરમાણુ ઊર્જા, ઉચ્ચ શિક્ષણ, કોર્પોરેટ કાયદો સહિત 10 વિધેયક પાસ કરાવવાની તૈયારીઓ શરૂ કરી છે.
કેન્દ્ર સરકારની રણનીતિ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને સંસદ સત્રને અનુલક્ષીને બેઠક યોજાઈ હતી, જેમાં અનેક વરિષ્ટ મંત્રીઓ સામેલ થયા હતા. બેઠકમાં સત્રની રણનીતિને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં સત્રને સુચારુ રીતે ચલાવવા માટે વિપક્ષને અપીલ કરવામાં આવશે.
આ પણ વાંચો : લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ
કેન્દ્ર સરકાર સત્રમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તૈયારીમાં
કેન્દ્ર સરકાર સત્રમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના લખાણ અંગે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદીએ અગાઉ કહ્યું છે કે, કોંગ્રેસે 1937માં વંદે મારતમમાંથી ઘણી પંક્તિ હટાવી દીધી હતી, જેના કારણે ભાગલાનો પાયો નખાયો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ કોઈપણ વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત SIR એ ચૂંટણી પંચની પ્રક્રિયા છે, તેથી તેના પર સત્રમાં ચર્ચા નહીં થાય. અગાઉના શિયાળુ સત્રમાં SIR મુદ્દના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ હતી.
આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ










