![]()
હમાસ, હીજબુલ્લા અને સીરીયામાં હજી ભડાકા ચાલે છે
કીંગ અબ્દુલ્લા રાજાના આમંત્રણથી મોદી જોર્ડન ગયા છે કીંગ અબ્દુલ્લા સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા મંત્રણા થશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૫થી જોર્ડનની બે દિવસની મુલાકાતે જવાના છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની ૭૫મી જયંતિ નિમિત્તે યોજાઈ રહી છે. આ સહસ્રાબ્દની ભારતના વડાપ્રધાનની જોર્ડનની આ પહેલી મુલાકાત બની રહેશે.
જોર્ડન સ્થિત ભારતના રાજદૂત મનીષ ચૌહાણ જણાવે છે કે, વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો તેમજ આ વિસ્તાર માટે પણ મહત્વની બની રહેશે. વડાપ્રધાન કીંગ અબ્દુલ્લા સેકન્ડનાં આમંત્રણથી જોર્ડન આવી રહ્યા છે. તેઓ ૨૦૧૮માં જોર્ડન આવ્યા હતા, પરંતુ તે માત્ર ‘ટ્રાન્ઝિટ વિઝિટ’ હતી. ભારત-જોર્ડન રાજકીય સંબંધોની સ્થાપનાના ૭૫મી જયંતિ નિમિત્તે યોજાનારી આ મુલાકાતનું મહત્વ ઘણું છે. તે સ્મરણીય બની રહે તેમ છે.
વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અત્યંત વ્યસ્ત રહેશે. તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે જોર્ડનના રાજા અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણા તો કરશે જ પરંતુ તે પૂર્વે બંને નેતાઓ એકથી એક મંત્રણા કરશે, જેમાં મધ્યપૂર્વની વિશેષતઃ ઈઝરાયલ-હમાસ સંઘર્ષ, હીઝબુલ્લા અને સીરીયા તેમજ ઈઝરાયલ-ઈરાન-સંઘર્ષ વિષે ચર્ચા કરશે તે સહજ અને સ્વાભાવિક છે.
કીંગ અબ્દુલ્લા અને વડાપ્રધાન મોદી ‘ઈન્ડીયા-જોર્ડન-બીઝનેસ-ઈવેન્ટ’ને સંબોધન કરશે. આ પછી તા. ૧૬મીએ રવાના થતાં પૂર્વે નરેન્દ્ર મોદી જોર્ડન સ્થિત ભારતીયોને પણ મળવાના છે.










