![]()
Vadodara : વડોદરા શહેરમાં વિકાસના કામોને ધ્યાનમાં રાખી અત્યાર સુધીમાં 20 થી વધુ રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસના કામોને ધ્યાનમાં રાખી વધુ બે રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે.
શહેરના લક્ષ્મીપુરા તળાવથી ઉંડેરા ગામ તરફ જવાના રસ્તે આરસીસી સ્ટોર્મ વોટર બનાવવાની કામગીરી કરવાની છે, જ્યારે છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધીના 24 મી.ના રસ્તે કાચો કાચ પાકો કરવાનો છે. જેથી લક્ષ્મીપુરા તરફથી ઊંડેરા ગામ તરફ જવાનો રસ્તો કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આજે, તા.10, ફેબ્રુઆરીથી બંધ રહેશે. તેવી જ રીતે છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધીનો રસ્તો પણ બંધ રહેશે. આમ હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં સામાન્ય રહેલા રોડ રસ્તા પણ પાલિકા તંત્ર દ્વારા હવે યેનકેન ખોદી નાખવાનું આયોજન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે લક્ષ્મીપુરા તળાવ તરફથી ઊંડેરા ગામ તરફ જવાના રસ્તા પર સહજ એવન્યુથી લક્ષ્મીપુરા તળાવ સુધી આરસીસી સ્ટોર્મ વોટર ડ્રેઇન બનાવવાની છે. જેથી કોન્ટ્રાક્ટરની સગવડ માટે મજૂરો-કારીગરોની હેરફેર, કામના મટીરીયલ્સ રાખવાની જગ્યા અને હેવી મશીનરીના કારણે આજે, તા.10, ફેબ્રુઆરીથી કામગીરી પૂરી થતા સુધી આ રોડ રસ્તો બંધ રહેશે. આ અંગે અપાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકાશે.
આવી જ રીતે છાણી તળાવથી ન્યાસા થઈને કેનાલ સુધીના 24મી.ના રસ્તે કાચો કાંસ પાકો કરવાની કામગીરી માટે કોન્ટ્રાક્ટરની સગવડ અર્થે 18, અને 24 મી. રોડ જંકશન એસટીપીથી દુમાડ તરફ જતો સંપૂર્ણ રસ્તો કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આવશ્યકતા મુજબ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે તેના વિકલ્પમાં ડાયવર્ઝન આપેલા રસ્તાનો ઉપયોગ કરવા વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવાયું છે.










