![]()
Vadodara : વડોદરામાં છાણી-બાજવા રોડ પર બાજવા રેલવે ગરનાળુ દર ચોમાસામાં વરસાદી પાણીથી ભરાઈ જતા મુશ્કેલી સર્જી દે છે. ચોમાસુ તો ઠીક પરંતુ કમોસમી વરસાદમાં પણ ગરનાળુ માથાનો દુખાવો બને છે. સોમવારે રાત્રે ભારે વરસાદ ખાબકતા ગરનાળુ છલોછલ ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, એમાં પણ બાઈક લઈને પસાર થતાં બે યુવક પાણીમાં ખાબકયા હતા, તેવું જાણવા મળ્યું છે. વોર્ડ એકના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ જ્યાં સુધી આ ગરનાળા ઉપર ઓવરબ્રિજ નહીં બને ત્યાં સુધી વરસાદની પરિસ્થિતિમાં આ સમસ્યા રહેવાની જ છે. ગઈ રાત્રે વરસાદથી ગરનાળુ ભરાયા બાદ આજે સવારે પંપ ચાલુ કરીને પાણીનો નિકાલ કરવાનું કામ કરતા પાણી ઉતર્યા હતા. ગરનાળામાં પાણી ભરાતા છાણીથી બાજવા, ઉંડેરા, કરોડીયા, જીએસએફસી બાજુ વગેરે સ્થળે જવાનો વ્યવહાર બંધ થઈ જાય છે. જેથી લોકોને ફરીને જવાનો વારો આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ મુદ્દે રજૂઆત કરવામાં આવે છે. પાણી ઉલેચવા માટે પંપ ચાલુ કરીને નિકાલ લાવવામાં આવે છે, પરંતુ આ કાયમી વ્યવસ્થા નથી. અહીં ઓવર બ્રિજ બનાવવાનું આયોજન છે, તો બ્રિજ બનાવવાનું કામ જલ્દી શરૂ કરી દેવું જોઈએ. જે રીતે અલકાપુરી ગરનાળુ ડબલ બનાવવામાં આવ્યું છે તે રીતે અહીં પણ ગરનાળુ ડબલ બનાવવું જરૂરી છે.










