![]()
Sardar Sarovar Dam Leval: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે. ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.
રાજ્યભરમાં મેઘમહેર
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ નોંધાયો છે.
પાણીની આવક અને જાવક
છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સે.મી.નો વધારો થયો છે. ડેમમાં હાલ 1,67,113 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે કેનાલમાં પાણીની જાવક 23501.00 ક્યુસેક નોંધાઈ છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8850.40 MCM છે.
નદીમાં પાણી છોડાશે
ડેમની સપાટી વધતા, તંત્ર દ્વારા 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આ ઉપરાંત, RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
એલર્ટ અને ચેતવણી
નદીમાં પાણી છોડવામાં આવતા, નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને એલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.










