![]()
Surat : સુરતમાં ચોમાસા દરમિયાન પાણીના ભરાવા અને ગંદકીના કારણે મચ્છરજન્ય રોગ ન થાય તે માટે પાલિકાના વીબીડીસી વિભાગે શહેરની હોસ્પિટલ અને બાંધકામ સાઈટનો સર્વે કરી મચ્છરના બ્રિડિંગ શોધીને લાખો રૂપિયાનો દંડ ફટકારવા સાથે નોટિસ આપી છે. જોકે, આ કામગીરી દરમિયાન શોશીયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો છે તેમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના સુરત ખાતેનું કાર્યાલય છે અને આ કાર્યાલયની બહાર ખાબડ ખુબડ રોડ છે અને અનેક જગ્યાએ ગંદા પાણીનો ભરાવો થયો છે. આ વિડીયો વાયરલ થયાં બાદ લોકો પ્રશ્ન કરી રહ્યાં છે કે આ ગંદકીમાં મચ્છર નહી થતા હોય ?
લોકોને સ્વચ્છતાના પાઠ ગુજરાત સરકાર શિખવે છે અને સુરતીઓને પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખવા માટેની ટકોર પણ કરે છે. પરંતુ સરકારની આ ટકોર સરકારના મંત્રી કે અન્ય નેતાઓને કોઈ અસર કરતી ન હોય તેવું લાગી રહ્યું છે. પાલિકા સતત ત્રણ ચાર દિવસથી મચછરની ઉત્પત્તિ રોકવા માટે આક્રમક કામગીરી કરી રહી છે અને મચ્છરના બ્રિડીંગ કે ગંદકી મળે તો નોટિસ આપવા સાથે દંડ પણ કરે છે. પાલિકાની આ કામગીરીથી ગંદકી રાખનારાઓ ગભરાઈ રહ્યાં છે અને સફાઈની કામગીરી કરી રહ્યાં છે.
પાલિકાની આ કામગીરી દરમિયાન સોશિયલ મિડીયા પર કામરેજના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના કાર્યાલયની આસપાસ ગંદકી નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મત્રીના કાર્યાલયનું બોર્ડ દેખાય છે અને તેની આસપાસના વિસ્તારમાં ભારે ગંદકી છે અને પાણીના ખાબોચિયા છે તેવું દ્રશ્યમાન થાય છે. આ ઉપરાંત આસપાસના રોડ પણ તુટેલી હાલતમાં છે અને અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે. આ વીડીયો બાદ લોકો એવું કહી રહ્યાં છે કે સ્વચ્છતાની જવાબદારી સુરતીઓની તો છે તેની સાથે સરકારની પણ છે જો સરકારના મંત્રીઓના કાર્યાલય બહાર જ આટલી ગંદકી હોય તો પછી આવી ગંદકી બદલ કોઈ નોટિસ આપવામાં આવશે ખરી ?










