![]()
– પીએમ મોદીએ શપથગ્રહણ મંચ પરથી જનતાને ‘દંડવત’ કર્યા
– દિલિપ ઘોષ, અગ્નિમિત્રા પૌલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ, નીશિથ પ્રમાણિકે પણ મંત્રીપદના શપથ લીધા
– સર્વસમાવેશક સરકારની શરૂઆત સાથે બંગાળનું પુનનિર્માણ મોટી પ્રાથમિક્તા : મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય પછી શનિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં સુવેન્દુ અધિકારીએ ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે સ્વતંત્રતા બાદ બંગાળમાં પહેલી વખત ભાજપે એકલા હાથે ભગવા સરકાર બનાવતા સુવેન્દુ સરકારનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે ભાજપના પાંચ વરિષ્ઠ નેતાઓએ મંત્રીપદે શપથ લીધા હતા. શપથગ્રહણના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પરથી જનતાને દંડવત પ્રમાણ કરી તેમનો આભાર માન્યો હતો.
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં એક સમયે ડાબેરીઓના ગઢ અને પાછળથી તૃણમૂલ કોંગ્રેસના પ્રભુત્વ ધરાવતા ઐતિહાસિક પરેડ ગ્રાઉન્ડ મેદાનમાં શપથગ્રહણ સમારંભે બંગાળના રાજકારણમાં ભાજપના સૂર્યોદયની ઝાંકી દર્શાવી છે. આ શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ટોચના કેન્દ્રીય મંત્રીઓ, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી.
શપથગ્રહણ સમારંભના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાનો આભાર માનતા તેમને દંડવત પ્રમાણ કર્યા હતા અને કહ્યું કે, બંગાળની જનતાને મારો પ્રણામ. આ શપથગ્રહણ સમારંભ સાથે પશ્ચિમ બંગાળમાં ભાજપના પરિવર્તનનો નવો અધ્યાય શરૂ થયો છે.
રાજ્યપાલ આરએન રવિએ સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રીપદના શપથ અપાવ્યા હતા. તેમની સાથે આરએસએસ અને ભાજપના વરિષ્ઠ નેતા દિલિપ ઘોષ અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ તથા નીશિથ પ્રમાણિકે પણ મંત્રીપદના શપથ લીધા હતા. આ સાથે નવી સરકારમાં બ્રાહ્મણ, મહિલા, મતુઆ અને આદિવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે, જે રાજ્યમાં વ્યાપક સમાવેશક અભિગમનો સંકેત આપે છે.
સુવેન્દુ અધિકારી બ્રાહ્મણ ચહેરો છે જ્યારે દિલિપ ઘોષ ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. કિર્તનિયા ભાજપના રાજકીય ગઢ મતુઆ સમાજ, ટુડુ આદિવાસી જંગલમહલ પ્રદેશ અને પ્રમાણિક ઉત્તર બંગાળની રાજબંશી વસતીનું પ્રતિનિધિત્વ ધરાવે છે. શનિવારે શપથ લેનારા પાંચમાંથી બે મંત્રી ઉત્તર બંગાળના અને ત્રણ દક્ષિણ બંગાળના છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ઈતિહાસ રચ્યા પછી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના સરકારી કામકાજની શરૂઆત જોરસાંકો ઠાકુરવાડીમાં શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના કર્યા પછી કરશે. આજનો દિવસ માત્ર બંગાળ નહીં પરંતુ આખા દેશ માટે ઐતિહાસિક છે.
તેમણે ઉમેર્યું વડાપ્રધાન મોદીની ઈચ્છા મુજબ શપથગ્રહણ સમારંભ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતિના દિવસે યોજાયો હતો. તેમની સરકારની સૌથી મોટી પ્રાથમિક્તા બંગાળનું પુનર્નિર્માણ હશે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સાંસ્કૃતિક ઓળખને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું નુકસાન થયું છે. હવે તેને સુધારવાની જરૂર છે.
પરેડ ગ્રાઉન્ડ પર શપથ ગ્રહણની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા મંચ પર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની તસવીરને શ્રદ્ધાંજલિ આપીને થઈ હતી. પીએમ મોદીએ બંગાળ ભાજપમાં ૯૮ વર્ષના સૌથી વરિષ્ઠ નેતા માખનલાલ સરકારના ચરણ સ્પર્શ કર્યા હતા અને શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. વધુમાં કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ પર શપથગ્રહણ સમારંભના મંચ પર બંગાળમાં પરિવર્તનની ઝાંકીમાં બંગાળી સંસ્કૃતિ અને આધ્યાત્મિક્તાના પ્રતીકોને વિશેષ સ્થાન અપાયું હતું. મંચ પર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની તસવીર સાથે અષ્ટભુજા સ્વરૂપમાં મહાકાલી અને ઐતિહાસિક-પૌરાણિક સમૃદ્ધિનું પ્રતીક દક્ષિણેશ્વર કાલી મંદિરના પ્રતિરૂપને સ્થાન અપાયું હતું.










