![]()
– ધનકુબેરોનું સ્વર્ગ બની માયાનગરી મુંબઈ
– દેશભરમાં ખરીદાયેલા 51 વૈભવી ઘરોમાંથી 21 તો એકમાત્ર મુંબઈના વર્લીના, બેંગલુરુમાં રૂ. 350 કરોડમાં ત્રણ ઘરના સોદા
અમદાવાદ : ભારતના ધનકુબેરો દિવસે ને દિવસે વધુને વધુ શ્રીમંત બનતા જઈ રહ્યાં હોવાના અનેક આંકડાકીય પુરાવા મળતા રહે છે. જોકે આ ધનકુબેરો પૈસાનો ખર્ચ પણ સમાન પ્રકારે કરતા જોવા મળી રહ્યાં છે. ૨૦૨૫ના વર્ષમાં દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈ ટોચના ધનકુબેરોનું સ્વર્ગ બની છે. અબજોપતિઓ દ્વારા ગત વર્ષે ૭૧૮૬ કરોડના મોંઘાદાટ ઘર ખરીદવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર ભારતના શ્રીમંતોએ ૨૦૨૫માં ૫૧ વૈભવી ઘરો ખરીદવા માટે રૂ. ૭૧૮૬ કરોડથી વધુની રકમ ખર્ચી દીધી હતી. ધનાઢય પરિવારો માટે મુંબઈ રહેઠાણ માટે પસંદગીનું શહેર રહ્યું છે, જેમાં અતિ-મોંઘા આવાસ શ્રેણીના જ ૩૫ ઘરો માત્ર ને માત્ર રૂ. ૫૧૨૮.૧૨ કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. આ સોદા દેશમાં અલ્ટ્રા-લક્ઝરીયસ માર્કેટના વધતા કદ અને મજબૂત વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.
રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ કંપની ઝેપકીના વિશ્લેષણ મુજબ, મુંબઈએ અલ્ટ્રા-એક્સપેન્સિવ હાઉસિંગ માર્કેટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. આ દરમિયાન, દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (દિલ્હી-એનસીઆર)એ ૧૨ ઉચ્ચ-કિંમતના વ્યવહારો (મુખ્યત્વે લુટિયન્સ ઝોનમાં) સાથે તેની પણ મજબૂત સ્થિતિ જાળવી રાખી હતી.
મુંબઈમાં બહુમાળી એપાર્ટમેન્ટ્સ પર અઢળક ખર્ચો કરવામાં આવ્યો, ત્યારે દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ અને ગોલ્ફ લિંક્સ જેવા વિસ્તારોમાં સ્વતંત્ર બંગલા પર ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે શ્રીમંતોએ ૧૨ બંગલા ખરીદ્યા હતા, જેમાં કુલ રૂ. ૧૫૯૪.૧૧ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
અલ્ટ્રા-લક્ઝુરિયસ કેટેગરીમાં ગુરુગ્રામમાં રૂ. ૧૧૪ કરોડમાં એક સોદો થયો હતો, જ્યારે બેંગલુરુમાં રૂ. ૩૫૦ કરોડમાં ત્રણ ઘર ખરીદવામાં આવ્યા હતા. મુંબઈના વર્લી વિસ્તારે અબજોપતિઓ માટે પસંદગીના રહેઠાણ તરીકે આગવી પ્રતિષ્ઠા જાળવી રાખી છે. ગયા વર્ષે દેશભરમાં ખરીદાયેલા ૫૧ વૈભવી ઘરોમાંથી ૨૧ તો એકમાત્ર મુંબઈના વર્લીમાં હતા. પ્રોજેક્ટ મુજબ, વર્લીના ઓબેરોય ૩૬૦ વેસ્ટમાં આ વૈભવી ઘરો માટે સૌથી વધુ સોદા જોવા મળ્યા. વિશ્લેષણ મુજબ, ૨૦૨૫માં નવ ટ્રાન્ઝેકશનો રૂ. ૨૦૦ કરોડના આંકને વટાવી ગયા હતા. કુલ ૩૦ રેસિડેન્શિયલ સોદા રૂ. ૧૦૦ કરોડને વટાવી ગયા હતા.
ઝેપકીના મતે ૨૦૨૩માં રૂ. ૭૧૭૮.૭૮ કરોડમાં ૭૯ અલ્ટ્રા-લક્ઝરી ઘરો ખરીદવામાં આવ્યા હતા. ૨૦૨૪માં આ શ્રેણીમાં રૂ. ૪૦૫૬.૭૬ કરોડમાં ૩૧ સોદા થયા હતા. દેશમાં મિલકતના ભાવમાં વધારા સાથે, ખરીદદારોની પસંદગીઓ વધુ સારી જીવનશૈલી તરફ વળી રહી છે.










