![]()
રાજકોટ નજીકના કુવાડવા પંથકની ઘટના : આરોપીની ધરપકડ : બાળાનાં ગળાં અને છાતીના ભાગે ઇજાનાં નિશાન મળ્યાં : દુષ્કર્મ થયું કે કેમ તે અંગે તપાસ
રાજકોટ, : શહેરની ભાગોળે રહેતી માત્ર 7 વર્ષની બાળાને કુવાડવા પંથકમાં રહેતાં વિપુલ પ્રેમજી ગોહેલ (ઉ.વ. 25)એ પોતાના ઘરે લઇ જઇ, જાતિય હુમલો કરી લોહીલુહાણ કરી નાખી હતી. કુવાડવા રોડ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભોગ બનનાર બાળા ગઇકાલે બપોરે ભાગ લઇ પરત ઘરે જતી હતી ત્યારે રસ્તામાં આરોપીએ અટકાવી તેને પોતાના ઘરે લઇ ગયો હતો. બીજી તરફ ઘણા સમય સુધી ભોગ બનનાર બાળા ઘરે નહીં પહોંચતાં તેની માતા શોધખોળમાં નીકળી હતી. આખરે આરોપીના ઘર પાસે પહોંચતાં આરોપી ભોગ બનનાર બાળાને મૂકી ભાગી ગયો હતો.
જેને કારણે તેની માતાને શંકા ગઇ હતી. ઘરે જઇ તે પુત્રીનો ફ્રોક બદલતી હતી ત્યારે તેમાં લોહીના ડાઘા જોતાં ચોંકી ઉઠી હતી. આ ઉપરાંત પુત્રીના ગળા અને છાતીના ભાગે ઇજાના નિશાન પણ જોવા મળતા પરિસ્થિતિ પામી ગઇ હતી. પરિવારજનોને જાણ કર્યા બાદ બધા કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતાં.
પોલીસે ભોગ બનનાર બાળાની માતાની ફરિયાદ પરથી જાતિય હુમલો અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ભોગ બનનાર બાળા ઇજાગ્રસ્ત હોવાથી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે મેડિકલ પણ કરાવ્યું છે. જો તેમાં દુષ્કર્મ આવશે તો તેની કલમોનો ઉમેરો કરાશે.
આરોપી અપરિણીત છે. હાલ પિતા સાથે રહી ભંગાર વીણવાનું કામ કરે છે. તેનો ભાઇ અને માતા સહિતના પરિવારજનો અલગ રહે છે. ભોગ બનનાર બાળા સાથે આરોપીએ બળજબરી કરતાં ઇજા થયાની શક્યતા પોલીસે દર્શાવી છે. આમ છતાં ખરેખર ક્યા કારણથી ઇજા થઇ છે તે બાબતે પોલીસે તપાસનો દોર જારી રાખ્યો છે.










