Vadodara : નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે કલેકટર કચેરી દ્વારા કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત શહેરી વિકાસ વિસ્તાર મંડળમાં સમાવિષ્ટ ના હોય એવા 569 ગામોના 59439 સર્વે નંબરોને સ્વયં જૂની શરતોમાં પરિવર્તિત કરી હુકમો કરવામાં આવ્યા છે.
ગત એપ્રિલ-2025માં મુખ્યમંત્રીએ ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળે તે માટે નવી શરતની જમીનોને જૂની શરતમાં પરિવર્તિત કરવા નિયત કરવામાં આવ્યું હતું
આ નિર્ણયની પૂર્વ ભૂમિકા એ છે કે, રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર કે શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રિમિયમમાં પણ મુક્તિ અપાઇ છે.
મુખ્યમંત્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા. આ નિર્ણયને પગલે મહેસુલ વિભાગ દ્વારા જરૂરી ઠરાવ પ્રસિદ્ધ કરી ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ આપવા અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવા જણાવવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા તથા નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલે ઉક્ત નિર્ણયની અમલવારી કરવા માટે ઝૂંબેશ ઉપાડવામાં આવી હતી અને પ્રાંત અધિકારીઓ તથા મામલતદારોને આ ઝૂંબેશમાં જોડવામાં આવ્યા હતા. માત્ર ત્રણ જ માસમાં નવી શરતના તમામ સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે.
સમગ્ર જિલ્લાનું ચિત્ર જોઇએ તો કુલ 569 ગામોમાં આ નિર્ણય લાગું પડતો હતો. તેથી આ ગામોમાં કુલ 59439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવવામાં આવી છે.
તાલુકા પ્રમાણે સર્વે નંબરોની સંખ્યા જોઇએ તો વડોદરા ગ્રામ્યમાં 1579, પાદરામાં 9339, કરજણમાં 7483, શિનોરમાં 1227, ડભોઇમાં 10231, વાઘોડિયામાં 11747, સાવલીમાં 13730, ડેસરમાં 4103 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવવામાં આવી છે.