Supreme Court VS President Droupadi Murmu Bill Case : રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલ પર નિર્ણય લેવામાં આવે છે, અત્યાર સુધી બિલ પર મહોર મારવા માટે કોઈ સમયમર્યાદ ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલના રોજ ઐતિહાસિક નિર્ણય લઈને સમયમર્યાદા નિર્ધારીત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મૂએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી બિલની ડેડલાઇન તથા ‘પાવર’ મુદ્દે 14 સવાલ પૂછ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક નિર્ણય પર ફેર વિચારણા શરુ કરી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેંચ રાષ્ટ્રપતિના 14 સવાલો મામલે આજે (22 જુલાઈ) સુનાવણી હાથ ધરી કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી ઑગસ્ટના મધ્યમાં હાથ ધરવામાં આવશે.
રાષ્ટ્રપતિના 14 સવાલો મામલે ઓગસ્ટમાં શરુ થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લઈને રાષ્ટ્રપતિ-રાજ્યપાલોને કોઈપણ વિધેયકને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવા કહ્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રપતિએ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. હવે રાષ્ટ્રપતિના 14 સવાલો મામલે આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈ, ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ પી. એસ. નરસિમ્હા અને ન્યાયાધીશ એ. એસ. ચંદૂરકરની બેંચે ઓગસ્ટના મધ્યમાં આગામી સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
સુપ્રીમના ઐતિહાસિક નિર્ણય બાદ રાષ્ટ્રપતિએ શું કહ્યું હતું?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને સવાલ કર્યો હતો કે, શું સુપ્રીમ કોર્ટ કલમ 201 હેઠળ રાજ્યપાલો દ્વારા અનામત રાખવામાં આવેલા બિલ પર નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિ માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી શકે છે? જોકે, બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધાના બીજા જ દિવસે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ સામે મોટો સવાલ ઊભો કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ વિ. ગવર્નર કેસમાં 8 એપ્રિલે ચુકાદો આપ્યો હતો કે, રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ કોઈ બિલને અનિશ્ચિતકાળ સુધી રોકી શકે નહીં.
આ પણ વાંચો : મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ
રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને પાંચ પાનાના રેફરન્સમાં 14 સવાલ કર્યા હતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143(1) હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટને પાંચ પાનાના રેફરન્સમાં 14 સવાલ કર્યા છે. આ સાથે રાષ્ટ્રપતિએ વિધાનસભા અને સંસદ દ્વારા પસાર કરેલા બિલો અંગે કલમ 200 અને કલમ 201 હેઠળ રાજ્યપાલ, રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મત માગ્યો છે. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કોઈપણ સવાલોનો અથવા બધા સવાલોનો જવાબ આપવાનો ઇન્કાર કરી શકે છે. કલમ 200 રાજ્ય વિધાનસભા દ્વારા બિલ પસાર કરવા સંબંધિત પરિસ્થિતિઓ અને રાજ્યપાલ પાસે સંમતિ આપવા અથવા સંમતિ રોકવા અથવા બિલને પુન: વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલવા સંબંધેના વિકલ્પો અંગે છે. કલમ 201 રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને વિચારણા માટે અનામત રાખેલા બિલો સંબંધે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટને પૂછ્યા આ 14 પ્રશ્નો
- કલમ 200 હેઠળ કોઈ બિલને રજૂ કરવા પર રાજ્યપાલ સમક્ષ બંધારણીય વિકલ્પો કયા છે?
- શું રાજ્યપાલે કોઈ બિલ રજૂ થતા મંત્રીપરિષદની સલાહ ફરજિયાત માનવી જ પડે?
- કલમ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહીં?
- કલમ 361 શું રાજ્યપાલના કાર્યોની ન્યાયિક સમીક્ષા પર પૂર્ણ પ્રતિબંધ લગાવે છે?
- શું રાજ્યપાલ માટે કોઈ બિલ પર કાર્યવાહી માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય છે?
- કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે કે નહીં?
- શું રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે સમય મર્યાદા નિશ્ચિત કરી શકાય?
- શું રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ પાસે બિલ મોકલવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ પાસેથી મત લેવો ફરજિયાત છે?
- શું કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણય કાયદાના અમલી બનતા પહેલા ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે? શું બિલને કાયદો બનતા પહેલા તેની સામગ્રી પર કોર્ટ વિચાર કરી શકે છે?
- શું કલમ 142 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બંધારણીય આદેશોને બદલી શકે છે?
- રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કાયદા શું રાજ્યપાલની સ્વીકૃતિ વિના અમલી માની શકાય?
- શું કલમ 143(3) હેઠળ કોઈ બંધારણીય પ્રશ્ન પર વિચાર માટે સુપ્રીમ કોર્ટની લઘુત્તમ પાંચ ન્યાયાધીશોવાળી બેન્ચનું હોવું અનિવાર્ય છે?
- શું કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટની શક્તિઓ માત્ર પ્રક્રિયા સુધી મર્યાદિત છે અથવા સબટેન્ટિવ કાયદાથી વિપરિત આદેશ પણ આપી શકે છે?
- શું બંધારણની કલમ 131 હેઠળ દાખલ કેસ ઉપરાંત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદોના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના અન્ય કોઈ અધિકાર ક્ષેત્ર પર પ્રતિબંધ છે?
આ પણ વાંચો : બોઈંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઈન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી
અહીંથી શરુ થયો હતો વિવાદ
તમિલનાડુ સરકારે અનામત બિલ પર રાજ્યપાલ આર.એન. રવિ તરફથી મંજૂરી આપવાનો ઇન્કાર કરતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે 8 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરી રાજ્યપાલ આર એન રવિના બિલોને પેન્ડિંગ રાખવાના નિર્ણયને નકારી કાઢ્યો હતો અને પહેલી વખત રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા અથવા સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બિલોને મંજૂરી આપવા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા નિશ્ચિત કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ચુકાદામાં કહ્યું હતું કે, કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્ય ન્યાયિક સમીક્ષાને આધીન છે. આદેશમાં એમ પણ કહેવાયું કે, બંધારણની કલમ 201 હેઠળ કોઈ બિલ રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિએ તેને સહમતિ આપવી જોઈએ અથવા અસહમતિ વ્યક્ત કરવી જોઈએ. જોકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમય મર્યાદા નિશ્ચિત કરાઈ નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ પાસે પોકેટ વીટોનો અધિકાર નથી. એટલે કે તેઓ અનિશ્ચિતકાળ સુધી પોતાના નિર્ણયને અનામત રાખી શકે નહીં.