– મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્વે રખડતા ઢોર સામે ઝુંબેશ
– શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેન્ડથી વાણિયાવાડ સુધી કાર્યવાહી કરાતા પશુ માલિકોમાં ફફડાટ
નડિયાદ : રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકારની નવી એસઓપી નડિયાદ મહાનગરપાલિકામાં પણ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. ત્યારે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રીના આગામી કાર્યક્રમ પૂર્વે ઢોર પકડવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. આજે ઢોર વિભાગની ટીમે ૧૫થી વધુ રખડતા પશુઓને પાંજરે મોકલી આપ્યા હતા.
ઢોર વિભાગના અધિકારીઓએ આજથી નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોને પકડવા માટે ટીમો ઉતારી છે. વહેલી સવારથી જ શહેરના મુખ્ય માર્ગો બસ સ્ટેન્ડથી વાણિયાવાડ સુધીના મુખ્ય વિસ્તારોમાંથી રખડતા ઢોરોને દૂર કરવાની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીના પ્રથમ દિવસે જ મોડી સાંજ સુધીમાં ૧૫થી વધુ રખડતા ઢોરોને પકડીને ઢોર ડબ્બામાં મોકલી દેવામાં આવ્યા હતા. મનપાની આ આકરા પગલાંથી પશુ માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આગામી સમયમાં એસઓપી મુજબ કડક અમલવારી કરવા માટે ઢોર માલિકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
લાંબા સમયથી શહેર માટે માથાના દુઃખાવા સમાન બની ગયેલી રખડતા ઢોરની સમસ્યાનો હવે અંત આવે તેવી નગરજનોમાં આશા જાગી છે.