![]()
– ગ્રામ્ય પોલીસની અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી
– આણંદ ફાયર બ્રિગેડની શોધખોળના અંતે 12 વર્ષના કિશોર મૃત હાલતમાં પાણીમાંથી મળ્યો
આણંદ : પેટલાદ તાલુકાના નાર ગામના તળાવમાં નાહવા પડેલ ૧૨ વર્ષના કિશોરનું તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. પેટલાદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પેટલાદ તાલુકાના નાર ગામમાં રહેતા ગોવિંદભાઈ ભીખાભાઈ તળપદાનો ૧૨ વર્ષીય પુત્ર જયદીપ આજે નાર ગામમાં આવેલા એક તળાવમાં નાહવા માટે ગયો હતો. દરમિયાન અચાનક જયદીપ તળપદા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તળાવમાં કિશોર ડૂબ્યો હોવાની જાણ થતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તળાવના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન જયદીપ તળપદા મૃત હાલતમાં તળાવના પાણીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાને લઇને પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અપમૃત્યુની નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










