![]()
ભારતીય ધ્વજ સંહિતા અને બંધારણ અનુસાર રાષ્ટ્રધ્વજ માટે નક્કી કરાયેલા ખાસ પ્રોટોકોલની જાળવણી કરવી અનિવાર્ય
સુરત,/ રાજકોટ : આઝાદી પર્વ 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવી દિલમાં રહેલો દેશપ્રેમ છલકાવી દેવા ચારેય તરફ અનેરો થનગનાટ છવાયો છે. હર ઘર તિરંગા વચ્ચે ઉત્સાહના અતિરેકમાં રાષ્ટ્રધ્વજનું માન અને સન્માન ભૂલાઈ નહીં જાય તે ખૂબ જરૃરી બન્યું છે. રાષ્ટધ્વજ ક્યારે ફરકાવવો?, કેવી રીતે ફરકાવવો?, સલામી કેવી રીતે આપવી? તેને લઈ ભારત સરકારે ચોક્કસ ધારાધોરણો અને નિયમો નક્કી કર્યાં છે.
આવતીકાલે દેશભરમાં વતન પ્રેમના વ્હાલ સાથે ૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થવા થઈ રહી છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવા ભારત સરકાર દ્વારા ચોક્કસ પ્રોટોકલ નક્કી થયો છે. જેનું ઘ્યાન રાખવું દરેકની સહિયારી જવાબદારી બની રહી છે. તિરંગો જો મંચ ઉપર રાખવાનો હોય તો વકતાની જમણી તરફ રાખવો જરૃરી છે. તેમ નહીં થઈ શકે તો પાછળના ભાગે સૌથી ઊંચા સ્થાન ઉપર રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ મોટરસાઈકલ ઉપર ફરકાવાનો હોય ત્યારે આગળના ભાગે સજ્જડ બેસાડેલા સળિયા ઉપર ફરકાવવામાં આવે છે.
રાષ્ટ્રધ્વજ સરઘસ કે સમૂહમાં લઈ જવાનો હોય ત્યારે કૂચની જમણી બાજુએ રાખવો તેનો પ્રોટોકોલ છે. રાષ્ટ્રધ્વજનું કદ ૩ ફૂટ બાય ૨ ફૂટ પસંદ કરી શકાય છે. સરકાર દ્વારા બનાવાયેલા આ પ્રોટોકોલનો ભંગ થાય તો જે તે વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે છે. તિરંગાનું સન્માન અને ગરિમા જાળવવા ભારતીય ઘ્વજ સંહિતા અને બંધારણ અનુસાર ખાસ પ્રોટોકોલ નિર્ધારિત કરવામાં આવ્યા છે. તેનું ચુસ્ત પાલન કરવું દરેક માટે અનિવાર્ય છે.
આ રીતે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાય નહીં
– રાષ્ટ્રધ્વજ જમીનને અડવો જોઈએ નહીં. – કોઈ પણ ગૂંચળાની ઉપર ઘ્વજ ફરકાવી શકાય નહીં. – રાષ્ટ્રધ્વજ ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ કે શબ્દો ચીતરી શકાય નહીં. – કોઈ પણ પ્રકારની વસ્તુ ઝીલવામાં, આપવામાં કે પકડવામાં તિરંગાનો ઉપયોગ સાધન તરીકે થઈ શકે નહીં – રાષ્ટ્રધ્વજને નુકસાન થયું હોય કે ખરડાઈ ગયો હોય તો તેનો ઉપયોગ ટાળવો. ગમે ત્યાં ધ્વજ નાંખી શકાય નહીં રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે કે બગડે તે રીતે તેનો સંગ્રહ પણ થઈ શકે નહીં. – બીજા કોઈ પણ ધ્વજ કે પતાકાને તિરંગાથી ઊંચા સ્થાન ઉપર રાખી શકાય નહીં – જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો જોવા મળે તો તેને જેલ થઈ શકે છે. સાથે દંડ પણ ભરવો પડી શકે છે.










