ભારતમાં ઈઝરાયેલનું ૩૩૭,૭૭ મિલિયન ડોલરનું રોકાણ
ઇઝરાયેલના નાણામંત્રી પ્રધાન અને ભારતના નિર્મલા સીતારામન વચ્ચે કરાર ઃ બંને દેશ વચ્ચે ૪ અબજ ડોલરનો વાર્ષિક વેપાર
નવી દિલ્હી: ભારત અને ઇઝરાયેલે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર સહીસિક્કા કર્યા છે. તેનાથી બંને દેશ વચ્ચેના રોકાણ સંબંધોને વૃદ્ધિ આપવામાં પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારત અને ઇઝરાયેલ સરકારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સમજૂતી પર સહીસિક્કા કર્યા. નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને તેમના ઇઝરાયેલી સમકક્ષ બેઝેલ સ્મોટ્રિચે તેના પર સહીસિક્કા કર્યા.
ઇઝરાયેલના નાણાપ્રધાન બેજલ સ્મોટ્રિચ ૮થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. તેઓ ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલ અને શહેરી અને આવાસપ્રધાન મનોહર લાલ સાથે પણ મુલાકાત કરશે.
તેમના ભારત પ્રવાસનો હેતુ દ્વિપક્ષીય બેઠકોના માધ્યમથી ભારતની સાથે ઇઝરાયેલના આર્થિક અને નાણાકીય સંબંધોને મજબૂત બનાવવાનો તથા દ્વિપક્ષીય રોકાણ સંધિ ઉપરાંત મુક્ત વેપાર કરાર સહિત કેટલીક મુખ્ય સમજૂતીઓ માટે સંયુક્ત આધાર નક્કી કરવાનો છે. બીઆઇટીના લીધે બંને દેશના રોકાણકારોને યોગ્ય સુરક્ષાની ખાતરી મળશે. તે મધ્યસ્થતા દ્વારા વિવાદ ઉકેલવા માટે એક મંચ પૂરો પાડશે.
ઇઝરાયેલે ૨૦૦૦ની સાલથી અત્યાર સુધીમાં ૧૫થી વધુ દેશો સાથે બીઆઇટી કરાર કર્યા છે. તેમા યુએઈ, જાપાન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને વચ્ચે દર વર્ષે લગભગ ચાર અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે. વર્ષ ૨૦૦૦થી ૨૦૨૫ સુધી ઇઝરાયેલમાં ભારતનું રોકાણ ૪૪.૩ કરોડ ડોલર હતું. જ્યારે સીધા વિદેશી રોકાણની વાત કરીએ તો ઇઝરાયેલનો ફાળો ૩૩.૪૨ કરોડ ડોલરનો હતો.