![]()
કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામની ચોંકાવનારી ઘટના સાડા 3 માસ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : આરોપી માતાની ધરપકડ
રાજકોટ, : પુત્રના મોહમાં અંધ બની ગયેલી માતાએ બીજા સંતાનમાં પણ પુત્રીની પ્રાપ્તિ થતા હતાશ થઈ બે માસની પુત્રીને પોતાના ઘરના ભો ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી. સાડા ત્રણ માસ પહેલાની કાળજું કંપાવનારી આ ઘટના કોટડાસાંગાણીના પીપલાણા ગામે બની છે. પોલીસે ગુનો નોંધી આરોપી માતાની ધરપકડ કરી છે.
રાજકોટની ન્યુ સાગર સોસાયટી શેરી નંબર-7માં રહેતા ઈસ્તામીલભાઈ સાંધની પુત્રી મુસ્કાનનાં છ વર્ષ પહેલા પીપલાણાના સાજીદ ગુલાબભાઈ કાયાણી સાથે લગ્ન થયા હતાં. 2020ની સાલમાં મુસ્કાને પુત્રી નુરેનાને જન્મ આપ્યો હતો. ગઈ તા. ૧૫ માર્ચના રોજ તેણે બીજી પુત્રી આયેશાને જન્મ આપ્યો હતો.
બીજી વખત ગર્ભવતી થઈ ત્યારે મુસ્કાનને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી પરંતુ બીજી પણ પુત્રી પ્રાપ્ત થતા એકદમ હતાશ થઈ ગઈ હતી. તા. 23 મેના રોજ સાંજે તેણે પતિને કોલ કરી કહ્યું કે, આયેશા ઘોડીયામાં નથી. તે સાથે જ પરિવારજનોએ આયેશાની શોધખોળ શરૂ કરી દીધી હતી. આખરે આયેશા પોતાના જ ઘરના રસોડામાં આવેલા ભો ટાંકામાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ પીપલાણા ગામમાં આવેલા કબ્રસ્તાનમાં જ આયેશાની દફન વિધિ કરી નાખી હતી. તેના પાંચેક દિવસ સુધી ઘરે રોકાયા બાદ મુસ્કાન પીયર જતી રહી હતી.
તેના બીજા દિવસે તેના પતિ સાજીદને સાળા મોસીને કોલ કરી કહ્યું કે, મુસ્કાનને આયેશા બાબતે પુછતા કહી રહી છે કે તેને પોતે જ રસોડામાં ભો ટાંકામાં નાખી દીધી છે. બીજા દિવસે મોસીનની પત્ની સાહીસ્તાએ પણ સાજીદને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી કહ્યું કે, મુસ્કાને જ પુત્રી આયેશાને ભો ટાંકામાં નાખી દીધાનું કબુલ્યું છે.
ત્યાર પછી સાજીદે પરિવારજનોને આ વાત જણાવી હતી, પરંતુ પોલીસને હત્યા બાબતે કોઈ માહિતી આપી ન હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ પરિવારજનોએ સાજીદને મુસ્કાન સાથે છુટુ કરી નાખવાનું કહ્યું હતું. બન્ને પક્ષો વચ્ચે આ બાબતે વાતચીત ચાલતી હતી. જેમાં તકરાર થતા આખરે કોટડાસાંગાણી પોલીસ પાસે મુસ્કાને જ પુત્રી આયેશાને મોતને ઘાટ ઉતારી દીધાની માહિતી પહોંચતા મુસ્કાનની પુછપરછ કરી હતી. જેમાં તેણે કબુલાત આપી દેતા તેના પતિ સાજીદની ફરીયાદ પરથી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.










