New GST Rate: નેક્સ્ટ જનરેશન જીએસટી હેઠળ કરવામાં આવેલા સુધારાનો લાભ 22 સપ્ટેમ્બરથી મળવાનો છે. કંપનીઓ પણ ભાવમાં ઘટાડાની જાહેરાત કરી રહી છે. નવા સુધારેલા ભાવ સાથે નવો સ્ટોક માર્કેટમાં પહોંચવા લાગ્યો છે. આ સુધારા વચ્ચે એફએમસીજી કંપનીઓએ મહત્ત્વની જાણકારી આપી છે કે, 5,10,20 રૂપિયાની ચીપ્સ, કુરકરે, બિસ્કિટ, નમકીન, સાબુ અને ટૂથપેસ્ટના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં.
એફએમસીજી કંપનીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂ. પાંચની કિંમતના બિસ્કિટ-નાસ્તાના પડીકા, રૂ. 10નો સાબુ તેમજ રૂ. 20ની ટૂથપેસ્ટ જેવી નાની પેકેજ્ડ આઈટમ્સના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. આ નાના પેકેટ પર જીએસટી ઘટાડાનો લાભ મળશે નહીં.
જીએસટી ઘટાડાનો લાભ મળશે નહીં
મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના ભારતીય ખરીદદાર નિશ્ચિત કિંમતની ખરીદી કરવા ટેવાયેલા છે. જેમાં રૂ. 20ના પેકેટનો ભાવ ઘટાડી 18 કરવામાં આવે અથવા તો રૂ. 10ની કિંમતના પેકેટનો ભાવ રૂ. 9 કરવામાં આવે તો ગ્રાહક ભ્રમિત થઈ જશે. તેમજ ચૂકવણીમાં પણ અસુવિધા ઉભી થશે.
કિંમત નહીં ઘટે, પણ આ લાભ મળશે
કંપનીઓએ CBICને જણાવ્યું છે કે, તે કિંમતો યથાવત રાખશે, પરંતુ પ્રોડક્ટના પ્રમાણમાં વધારો કરશે. કિંમત જૂની જ રહેશે, પણ પેકેટમાં મળતી પ્રોડક્ટ્સનું વજન વધારી દેવામાં આવશે. આ રીતે ગ્રાહકો સુધી જીએસટી ઘટાડાનો લાભ પહોંચાડવામાં આવશે.
ડેઈલી પ્રોડક્ટ્સની માગ
બીકાજી ફૂડ્સના સીએફઓ ઋષભ જૈને જણાવ્યું હતું કે, કંપની પોતાના નાના પેકેટ (ઈમ્પલ્સ પેક્સ)નું વજન વધારશે, જેથી ખરીદદારોને વધુ લાભ મળી શકે. ડાબરના સીઈઓ મોહિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, કંપની નિશ્ચિત રૂપે ટેક્સ કાપનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે. ટેક્સ ઘટતાં રોજિંદા પ્રોડક્ટ્સની માગ વધશે. ઉલ્લેખનીય છે, નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ અંગે દિશાનિર્દેશ જાહેર કરવા પર વિચારણા થઈ રહી છે. જેથી સુનિશ્ચિત થઈ શકે, કંપનીઓ તેનો સંપૂર્ણપણે લાભ ગ્રાહકોને આપે.











