![]()
મુંબઈ : વર્તમાન વર્ષના આગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ સતત ત્રીજા મહિને ઘટી છે. ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફને પરિણામે ઓગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં જુલાઈની સરખામણીએે ૧૬.૩૦ ટકા ઘટી ૬.૭૦ અબજ ડોલર રહી છે. આ અગાઉ જુલાઈમાં ૩.૬૦ ટકા અને જૂનમાં મેની સરખામણીએ ૫.૭૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
ગ્લોબલ ટ્રેડ એન્ડ રિસર્ચ ઈનિશિએટિવના સુત્રોના જણાવ્યા પ્રમાણે ઊંચા ટેરિફને કારણે દેશના કેટલાક મહત્વના ક્ષેત્રો જેમ કે એપરલ તથા જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ પર નોંધપાત્ર અસર થઈ છે. અમેરિકા ખાતે ભારતની ફાર્મા તથા સ્માર્ટફોન્સ સહિતની ૩૫ ટકા જેટલી નિકાસને અમેરિકાએ ટેરિફમાંથી મુક્તિ આપી છે. ગયા નાણાં વર્ષમાં અમેરિકા ખાતે ભારતની એકંદર નિકાસ ૮૬ અબજ ડોલર જેટલી રહી હતી.
૭મી ઓગસ્ટના ટેરિફ ૧૦ ટકા પરથી વધારી પ્રથમ ૨૫ ટકા કરાઈ હતી અને ત્યારબાદ ૨૭ ઓગસ્ટથી ટેરિફમાં વધુ ૨૫ ટકા વધારી કુલ ૫૦ ટકા કરાઈ છે. આને પરિણામે નિકાસકારોને નિકાસ ટકાવી રાખવાનું મુશકેલ બન્યું હતું અને જુલાઈની સરખામણીએ તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
સપ્ટેમ્બરમાં તો નિકાસમાં ઘટાડાનો આંક ઓગસ્ટ કરતા પણ વધુ હશે કારણ કે સપ્ટેમ્બર પ્રથમ એવો મહિનો છે, જેમાં ૫૦ ટકા ટેરિફની સંપૂર્ણ અસર જોવા મળશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.
નાણાં વર્ષ ૨૦૨૬ સુધી ૫૦ ટકા ઊંચા ટેરિફને કારણે અમેરિકા ખાતે ભારતની ૩૦-૩૫ અબજ ડોલરની નિકાસને ફટકો પડી શકે છે. ભારતની માલસામાનની એકંદર નિકાસમાંથી અંદાજે વીસ ટકા નિકાસ અમેરિકા ખાતે થાય છે.










