![]()
– વર્ષે દહાડે લાખોનું ટર્નઓવર
– 1200 થી વધુ લોકોને મળતી રોજગારી, રો મટીરીયલ્સના ભાવ અને મજુરી દર વધતા ટ્રેડિશ્નલ વસ્ત્રો મોંઘા
પાલિતાણા : પાલિતાણામાં શ્રમજીવી પરિવારો દ્વારા તૈયાર કરાઈ રહેલા ટ્રેડિશ્નલ ચણીયાચોળી સહિતના વસ્ત્રોની દેશભરમાં સારી એવી માંગ રહેવા પામેલ છે. એટલુ જ નહિ વિદેશમાંથી આવતા એન.આર.આઈ.પરિવારમાં પણ અત્રેના દેશી અને ભરતકામ કરેલા વસ્ત્રોની ખરીદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આદ્યશકિતની આરાધનાના નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે પાલિતાણાના પ્રખ્યાત કચ્છી અને હાથ ભરત કામવાળા, છાપણીવાળા ઘાઘરા,ચોળી, ફેસ્ટીવલ વેર, બોલીવુડ સ્ટાઈલ લહેંગા, ટ્રેડિશ્નલ અને ડિઝાઈનર કેડિયા, ધોતી, જેન્ટસ, લેડીઝ કોટી, ચીલ્ડ્રન ચણીયાચોળી, વર્કવાળા કુર્તા, ધોતી, બંડી જેવા એમ્બ્રોઈડરી વર્ક, ગામઠીવર્ક, સ્ટીચ્ડ ફૂલસાઈઝના વસ્ત્રોની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે. હેન્ડીક્રાફટના ૨૨ વેપારીઓ દ્વારા ગુજરાત સહિતના અન્ય રાજયોમાં પણ હાથભરતનો માલ મોટા પ્રમાણમાં મોકલાયો હતો.દેશી કચ્છી ભરત અને આભલાવાળા, ટીકીવાળા, શંખલા ટાંગેલા ચણીયાચોળીનું કોલેજીયનોમાં ભારે આકર્ષણ યથાવત છે. આ કામગીરીમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ૧૨૦૦ થી વધુ શ્રમિકો રોજગાર મેળવીને સ્વનિર્ભર થઈ રહ્યા છે. રો મટીરીયલ્સના ભાવમાં અને મજુરી દરમાં વધારો થતા ટ્રેડિશ્નલ ચણીયાચોળીના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે તેમ છતા તેની માંગમાં ઘટાડો થયો નથી










