![]()
અનુસૂચિત આદિજાતિનો દાખલો ખોટો હોવાનો ઘટસ્ફોટ :જૂનાગઢના મામલતદાર પાસેથી વર્ષ 2016માં કઢાવેલા દાખલા મુજબ ગીર, બરડા કે આલેચના માલધારી હોવાનું પૂરવાર ન થયું
જૂનાગઢ, : જૂનાગઢ મહાનગરપાલિકાના કોંગ્રેસના મહિલા નગરસેવકે અનુસૂચિત આદિજાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2016માં અનુસૂચિત આદિજાતિનો કાઢવામાં આવેલો દાખલો વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરી નાખવામાં આવ્યો છે. આગામી સમયમાં વોર્ડ નંબર 15ના મહિલા નગરસેવિકા સોનલબેન કારાભાઈ રાડાનું નગરસેવકપદ પણ જઈ શકે છે. હાલ આ અંગેની હાલ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર 15ની મહિલા આદિવાસી બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ વર્તાય છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે 60 બેઠક માંથી એક બેઠક આદિવાસી માટે અનામત હતી. વોર્ડ નંબર 15માં મહિલા આદિવાસી અનામત બેઠક પર કોંગ્રેસના સોનલબેન કારાભાઈ રાડાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્રની સાથે તેમને મામલતદાર પાસેથી વર્ષ 2016માં કઢાવેલો અનુસૂચિત આદિજાતિનો દાખલો રજૂ કર્યો હતો. હાલમાં સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત આદિજાતિના દાખલાઓની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા ખરાઈ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે સોનલબેનના દાખલાની છેલ્લા ઘણા સમયથી ખરાઈ પ્રક્રિયા ચાલી રહી હતી. ખરાઈ પ્રક્રિયા દરમિયાન આ દાખલો બોગસ હોવાનો વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા નિર્ણય લઈ તેને આપવામાં આવેલો અનુસૂચિત આદિજાતિનો દાખલો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રબારી સમાજમાંથી આવતા સોનલબેન મૂળ ગીર, બરડા, આલેચના હોવાનું પુરવાર થતું ન હોવાથી તેને વર્ષ 2016માં દાખલો અપાયો હતો તેને રદ કરી નાખવામાં આવ્યો છે. આ અંગેની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા જૂનાગઢના કલેકટર, કમિશનર સહિતનાઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં કમિશનર દ્વારા આ અંગે સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે અને થોડા જ દિવસોમાં સોનલબેન રાડાનું મહાનગરપાલિકાનું સભ્યપદ પણ જવાની તૈયારીઓ વર્તાઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ અંગેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આગામી થોડા જ સમયમાં ફરી વોર્ડ નંબર ૧૫ની મહિલા આદિવાસી સીટ અંગેની ચૂંટણી યોજાશે. સોનલબેન નગરસેવક તરીકે ચૂંટાયા તેને છ માસ જેટલો સમય થયો ત્યાં જ તેમનું નગરસેવક પદ જોખમમાં મુકાઈ ગયું છે.










