![]()
4 ઓક્ટોબર, ‘વિશ્વ પશુ દિવસ’ : વર્ષ 1929થી આ દિવસ મનાવવામાં આવે છે : પશુ- પ્રાણીઓને સ્વેચ્છાએ સ્વતંત્ર રીતે હરી ફરી શકે તેવું વાતાવરણ આપણે તેમને આપવું જ જોઈએ
ભુજ, : દર વર્ષે 4 ઓક્ટોબરના દિવસે વિશ્વ પશુ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે પશુઓનાં અધિકારો અને તેના કલ્યાણ સંબંધિત જુદા-જુદા કારણોની સમીક્ષા કરવામાં આવે છે. પ્રાણીઓનાં મહાન આશ્રયદાતા આસીસી(ઇટલી)નાં સંત ફ્રાન્સિસનો જન્મ દિવસ પણ 4 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. તેઓ પ્રાણીઓનાં મહાન સંરક્ષક હતા. આંતરરાષ્ટ્રીય પશુ કલ્યાણ દિવસનો મુખ્ય હેતુ જનતાને ચર્ચામાં સામેલ કરવી અને પશુઓ પ્રત્યે ક્રૂરતા, પશુ અધિકારોનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદઓ પર જાગરૂકતા ફેલાવવાનો છે.
પ્રથમવાર વિશ્વ પશુ દિવસનું આયોજન હેનરિક જિમરમને 24 માર્ચ, 1925ના રોજ જર્મનીનાં બર્લિનમાં આવેલા સ્પોર્ટસ પેલેસમાં કર્યું હતું, પરંતુ વર્ષે ર્ 1929થી આ દિવસ 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવ્યો. શરૂઆતમાં આ આંદોલનને જર્મનીમાં શરૂ કરવામાં આવ્યું અને ધીમે-ધીમે તે સમગ્ર વિશ્વમાં ફેલાવવા લાગ્યું. વર્ષ 1931માં ફ્લોરેન્સ, ઇટલીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પશુ સંરક્ષણ સંમેલને આંતરરારાષ્ટ્રીય પશુ દિવસ તરીકે 4 ઓક્ટોબરના દિવસ નક્કી કરવા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો અને મંજૂર કર્યા યૂનાઇટેડ નેશન્સ ‘પશુ કલ્યાણ પર એક સાર્વભૈામ ઘોષણા ‘ના નિયમ તેમજ નિર્દેશો હેઠળ અનેક અભિયાન ચલાવવાની શરૂઆત કરી. નૈતિકતાની દ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્રે સાર્વજનિક રીતે કરેલી ઘોષણામાં પશુઓના દર્દ અને પીડાના સંદર્ભમાં તેમને સંવેદનશીલ પ્રાણી તરીકે ઓળખ અપાવવાની વાત કરી. આજે માનવીએ ગધેડા જેવા ભોળા પ્રાણીથી માંડી હાથી જેવા કદાવર પ્રાણીને પકડીને ગુલામ બનાવી દીધાં છે. મોટાભાગના પ્રાણીઓ ગતિશીલ હોય છે. તેઓ સ્વૈચ્છાએ સ્વતંત્ર રીતે હરી ફરી શકે તેવું વાતાવરણ આપણે તેમને આપવું જ જોઈએ, તે આપણાં પર્યાવરણ સંવર્ધક છે.










