Vadodara Corporation : વડોદરાના ઐતિહાસિક કમાટી બાગમાં 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજ અસુરક્ષિત જાહેર કરી તમામ પ્રકારનો ઉપયોગ બંધ કરી દેવા કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટના સલાહકાર દ્વારા સૂચન મળતા આ બ્રિજ બંધ કરવામાં આવ્યા બાદ ખાસ કરીને સહેલાણીઓની તકલીફો વધી ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને આ બ્રિજ લોકો ચાલતા આવજા કરી શકે તે રીતે રીપેર કરી ખુલ્લો મુકવા માંગ થઈ છે. કોર્પોરેશનની સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષાએ આ મુદ્દે કમિશનર અને સ્ટેન્ડિંગના ચેરમેનને રજૂઆત પણ કરી છે.
જોકે પક્ષી ઘરથી વાઘ, સિંહના પાંજરા તરફ જૂના બ્રિજને સમાંતર નવો બ્રિજ આશરે 14.92 કરોડના ખર્ચે બનાવવાનો છે. જુનો બ્રિજ રીપેર થઈ શકે તેમ ન હોય તો નવા બનાવવાની કામગીરી જલ્દી હાથ ધરવી જોઈએ. હાલમાં જુનો બ્રિજ બંધ થવાથી ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલય વિભાગના કર્મચારીઓ અને સિક્યુરિટીના જવાનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બ્રિજ બંધ થવાથી રોજબરોજની મેન્ટેનન્સની કામગીરી કરવી અઘરી થઈ ગઈ છે. પ્રાણીસંગ્રહાલય વિભાગ દ્વારા બ્રિજ પ્રોજેક્ટ સમક્ષ પત્ર લખીને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે આ બ્રિજ ચાલુ થાય તે માટે વ્યવસ્થા ગોઠવે. જરૂર પડે બ્રિજને વધુ મજબૂત બનાવીને તેનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. હાલમાં પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ માટે રોજનો ખોરાક બ્રિજની આ બાજુ તૈયાર થતો હોવાથી ત્યાં પહોંચાડવા પણ મુશ્કેલી થઈ રહી છે. બ્રિજ બંધ થવાથી પાછળના ભાગેથી જવા માટે આખો રાઉન્ડ લેવો પડે છે, એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલય જોવા આવતા લોકો પણ આ બ્રિજના કારણે મુશ્કેલીમાં મુકાયા છે, અને પાછળથી ફરીને જવાનું ટાળી દે છે. ઘણી વખત સિક્યુરિટી સાથે બ્રિજ પરથી જવા દેવા મુદ્દે ઘર્ષણ કરે છે. સહેલાણીઓ હવે પ્રાણીસંગ્રહાલય જોવા માટે આ બ્રિજના કારણે તૈયાર થતા નથી. જેના લીધે આવકને પણ અસર થઈ છે. પક્ષીઘરથી પ્રાણીઘર સુધી પહોંચવા પર્યટકોને દોઢ કિલોમીટરનો ફેરો ફરવા માટે તૈયાર નથી. હવે વેકેશનના દિવસો શરૂ થશે અને ગાર્ડનમાં સહેલાણીઓ પણ વધશે જેઓ આ બ્રિજના કારણે મુશ્કેલીમાં મુકાશે ભવિષ્યમાં બગીચામાં વધુ ડેવલપમેન્ટ થવાનું છે અને સહેલાણીઓ મોટી સંખ્યામાં આવશે, ત્યારે આ બ્રિજનો પ્રશ્ન ઉભો રહેવાનો જ છે. એ સમયે કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનએ વેળાસર નિર્ણય લેવો જોઈએ તેવી સહેલાણીઓ માગ કરી રહ્યા છે.