![]()
સુરેન્દ્રનગર મહાપાલિકા મેયર પદ માટે રોટેશન જાહેર
રોટેશન જાહેર થતાં એસસી સમુદાયના સંભવિત ઉમેદવારો અને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૃ થઈ
સુરેન્દ્રનગર – ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ સચિવાલય દ્વારા એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આગામી મેયરનું પદ અનુસૂચિત જાતિ ( એસસી) માટે અનામત રાખવામાં આવ્યું છે.
ગાંધીનગર સચિવાલયમાંથી બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશનમાં રાજ્યની નવ મહાનગરપાલિકાઓની સૂચિ જાહેર કરીને મેયરપદ માટેની અનામત કેટેગરીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટ માટે આગામી સમયમાં મેયર તરીકેની જવાબદારી એસસીસમુદાયના નેતાને સોંપવામાં આવશે. આ નોટિફિકેશનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટએસસી અને ઓબીસી સહિતની વિવિધ અનામત જાતિઓને આવરી લેવામાં આવી છે. જોકે, મેયરપદ માટેની સ્પષ્ટ જાહેરાત એસસી કેટેગરી માટે કરવામાં આવી છે, જેને કારણે સુરેન્દ્રનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૧લી જાન્યુઆરીએ સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આ પ્રથમ મેયરની ચૂંટણી હશે. મેયરપદ એસસીમાટે અનામત જાહેર થતાં, આ સમુદાયના સંભવિત ઉમેદવારો અને પક્ષોમાં જોરશોરથી તૈયારીઓ શરૃ થઈ ગઈ છે. રાજ્ય સરકારની આ જાહેરાતને પગલે સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણો બદલાવાની અને નવા ચહેરાઓ સામે આવવાની શક્યતા છે. આ નિર્ણય સુરેન્દ્રનગરના રાજકીય માળખા અને આગામી ચૂંટણી પર મોટી અસર કરશે.










