![]()
રાજકોટના 2 લાખ બાકીદારો પાસે રૂ।. 1100 કરોડ વસુલવા : સૌ.યુનિ. સહિત સરકારી કચેરીઓના 60 કરોડ, મોબાઈલ ટાવરના રૂ।. 22 કરોડ બાકી : મોટા માથાઓ વળતર યોજનાનો લાભ લેતા નથી
રાજકોટ, : રાજકોટ મહાપાલિકા દ્વારા અનિયમિત અને કાયમના બાકીદાર એવા મિલ્કતધારકો પાસેથી રૂ।.૧૧૦૦ કરોડનો ટેક્સ વસુલવા દિવાળી પછી સીલીંગ સહિતની કડક વસુલાત ઝૂંબેશ હાથ ધરશે પરંતુ, શીતલપાર્ક પાસે આવેલા ભાજપ કાર્યાલય કમલમ બિલ્ડીંગ ત્રણ વર્ષથી તૈયાર થઈ ગયું હોવા છતાં હજુ સુધી તેની આકારણી જ નહીં થયાના મુદ્દે વિપક્ષે તીવ્ર વિરોધ ઉઠાવ્યો છે.
આ અંગે મનપા સૂત્રો અનુસાર ભાજપ કાર્યાલય આશરે 3 વર્ષ પહેલા તૈયાર થયું છે અને તેની આકારણી માટે નોટિસ આપવામાં આવી છે, આકારણી થયા બાદ ટેક્સ વસુલાત કરાશે. જ્યારે શહેર કોંગ્રેસે આજે મ્યુનિ.કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મૂજબ આ ભાજપ કાર્યાલય તા. 23-10-2022 થી કાર્યરત છે અને તેની ટેક્સ આકારણી જે તે સમયે જ એટલે નથી થઈ કે તેના બાકી વેરા ઉપર 18 ટકા જેવું વ્યાજ ચડત કરવું ન પડે. આકારણીમાં ઢીલ રાખવામાં થાબડભાણાંની ગંધ આવે છે. આ બિલ્ડીંગના પ્લાન,કમ્પલીશન ઉપરથી તત્કાલ આકારણી કરવી જોઈએ.
દરમિયાન રાજકોટમાં આમ જનતા તો નિયમિત અને પ્રમાણિક કરદાતા બનીને મનપાને વળતર યોજનામાં 30 જૂન પહેલા જ ટેક્સ જમા કરાવી દે છે પરંતુ, ખુદ સરકારી કચેરીઓ વળતર યોજનાનો લાભ લેતી નથી. સૌથી મોટા બાકીદાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક રૂપિયાનો ટેક્સ ભર્યો નથી અને એકંદરે શહેરની સરકારી કચેરીઓ પાસે હાલ રૂ।. 60 કરોડનું માંગણુ છે. ઉપરાંત મોબાઈલ નેટવર્કનો ધીકતો ધંધો છતાં મોબાઈલ ટાવર્સ ઉપર પણ રૂ।. 22 કરોડ જેવો ટેક્સ ચડત થયો છે.










