![]()
મુંબઈ : ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૫-૨૬ની વર્તમાન ખાંડ મોસમમાં ખાંડની નિકાસ છૂટ આપવા સરકાર વિચારી રહી છે. અપેક્ષા કરતા ઓછી ખાંડને ઈથેનોેલના ઉત્પાદન તરફ વળાતા સ્ટોક આવશ્યક કરતા વધુ ભેગો થઈ ગયો છે જેને પગલે નિકાસ છૂટની વિચારણા કરવામાં આવી રહી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. પ્રધાનોની સમિતિ આવતા સપ્તાહે આ અંગે નિર્ણય લેશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
સપ્ટેમ્બરના અંતે સમાપ્ત થયેલી ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં મિલોએ માત્ર ૩૪ લાખ ટન ખાંડ ઈથેનોલના ઉત્પાદન તરફ વાળી હતી, જે ૪૫ લાખ ટનની ધારણાં કરતા નોંધપાત્ર નીચી રહી છે.
વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન ૩.૪૦ કરોડ ટન રહેવા અંદાજ છે જ્યારે દેશમાં ખાંડની વાર્ષિક માગ ૨.૮૫ કરોડ ટન આસપાસ રહે છે. આ ઉપરાંત ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન મોસમના પ્રારંભમાં ખાંડનો સ્ટોક પણ ઊંચો રહ્યો છે.
ખાંડ ઉત્પાદકો દ્વારા ખાંડની નિકાસ છૂટ જાહેર કરવા માગણી કરવામાં આવી રહી છે, ત્યારે ઊંચા સ્ટોકને ધ્યાનમાં રાખતા નિકાસ છૂટ અપાશે તેમ પણ સુત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું.
ખાંડની નિકાસ છૂટ બાબતે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે જેથી નિકાસકારોને નિકાસ યોજના તૈયાર કરવા પૂરતો સમય મળી રહે.
ગઈ મોસમમાં દસ લાખ ટન છૂટની સામે અંદાજે ૭.૭૫ લાખ ટન ખાંડ નિકાસ થઈ હતી. જો કે સરકારે નિકાસ કવોટા જાન્યુઆરીમાં જાહેર કર્યો હતો. ઓકટોબરથી શરૂ થયેલી નવી મોસમ માટે નિકાસ કવોટા જલદી જાહેર કરવા ખાંડ ઉદ્યોગ દ્વારા આ અગાઉ જ માગણી કરવામાં આવી છે.
હાલમાં વિશ્વ બજારમાં રિફાઈન્ડ ખાંડના ભાવ ઘરઆંગણેના ભાવ કરતા નીચા હોવાથી રો ખાંડની નિકાસ શકય બનશે. ભારતમાં ખાંડના એકસ મિલ ભાવ હાલમાં પ્રતિ ક્વિન્ટલ સરેરાશ રૂપિયા ૩૮૮૫ બોલાઈ રહ્યા છે જ્યારે વિશ્વ બજારમાં ભાવ રૂપિયા ૩૮૨૯ બોલાઈ રહ્યા છે.
દરેક પ્રતિબંધો દૂર કરવા છતાં ખાંડ મિલો તેમને ફાળવાયેલા ૪૫ લાખ ટનના કવોટાનો ગઈ મોસમમાં પૂરો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી હતી.










