![]()
ઉપલેટા, કાલાવડ, પડધરી, મોટી મારડ સહિતના વિસ્તારોમાં ખેડૂતોની માંગ : સર્વેના સરકારી નાટકો બંધ કરી સરકાર ખેડૂતોને વહેલાસર સહાય ચુકવે: પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના પણ છેલ્લા 4-5 વર્ષથી બંધ
રાજકોટ, : એક બાજુ દિવાળી તહેવારો સુધી કોઈ જ નુકસાન ન હોવાથી ખેડૂતોમાં આનંદ મંગળ વર્તાતો હતો પરંતું દીવાળી તહેવારો પર મજૂરો વતનમાં ચાલ્યા ગયા પછી લાભપાંચમ બાદ કમોસમી માવઠાંનો ધોધમાર વરસાદ વરસી જતાં ખેતરોમાં તેયાર કરીને રાખેલો મોલ પલળીને ખાતર થઈ જતાં ખેડૂતોને દીવાળી લાભ પાંચમ ટાણે જ હોળી થઈ છે એમના ખેતરોમાં આજે પણ એટલુ પાણી ભરાયેલું છે કે પગ મૂકી શકાય એમ નથી. આવા સંજોગોમાં ખેડૂતો અને આગેવાનોએ સરકાર સમક્ષ ખોળો પાથરીને જગતાતને બેઠાં કરવા સહાયની માગણી કરી છે.
ઉપલેટા તાલુકાના ખેડૂતોએ મુખ્ય મંત્રીને આવેદનપત્ર આપી માગણી કરી ખેડૂતો આ સાલ એક પાઈ પણ ભરી શકે એવી સ્થિતિમાં રહ્યો નથી. એટલે એમની પાકધીરાણ રકમ માફ કરવી જોઈએ. પડધરીના ખેડુતો કહે છે કે કૃષકોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. સરકાર એક બે હજારની મદદ કરે તો ચાલી જાય એમ નથી આથી મહતમ મદદ કરીને ખેડૂતને આગામી સાલ માટે બેઠો કરવો જોઈએ.
મોટી મારડ સહકારી મંડળીના આગેવાનોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે માવઠાંના કારણે કપાસ, એરંડા, અડદ,તુવેર પાક તેમજ અન્ય પાકો બગડી ગયા છે.પાથરા સડી ગયા છે. ખેડૂતોના હાથમાં કશુ જ આવે એમ નથી. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના અસ્તિત્વમાં હતી. ત્યારે નુકસાનીમાં સર્વે કરી વીમા પાત્ર ધીરાણની રકમ મંજૂર થયે ટકાવારી વાર વીમો આવતો હતો. જેમાં ખેડૂતો 2 થી 5 ટકા સુધી પ્રિમિયમ ભરતા હતા. અને બાકીનું પ્રિમિયમ સરકાર ભરતી હતી પણ છેલ્લા 4 થી 5 વર્ષથી આ યોજના બંધ કરવામાં આવી છે એટલે ખેડૂતોને એ આશા પણ રહી નથી. અમારી રજુઆત છે કે પાક ધીરાણ રકમ માફ કરવામાં આવે અને કમોસમી વરસાદ દરમિયાન ખેડૂતોની જે કાંઈ ઉપજ બચી છે એ તમામ જણસી સરકારે નકકી કરેલી એમએસપી મુજબ ખરીદ કરવામાં આવે
કાલાવડના નીકાવા શિશાંગ અને તાલુકાના તમામ ગામોના ખેડૂતો કહે છે કે કમોસમી વરસાદના કારણે તાલુકામાં મગફળી કપાસ, તલ અને ડૂંગળીના પાકને ભારે નુકસાન પહોંચાડયું છે. પાક અને ઘાસચારો ફેઈલ જતાં ખેડૂતો અને પશુપાલકો હતપ્રભ બની ગયા છે. આવા સંજોગોમાં સર્વે બંધ કરીને સરકાર પાકનું યોગ્ય વળતર જાહેર કરે .કોટડાસાંગાણી તાલુકામાં માવઠાના કારણે કપાસ તુવેર, શાકભાજી ડુંગળી મગફળી અને અન્ય ખેતપાકોને નુકસાન થયું છે. આ ખેડૂતોએ પાક ધીરણ માફ કરવાની માગણી કરી છે.ખેડૂતોને વીઘા દિઠ સહાય ચૂકવવામાં આવે એવી પણ માંગઉઠી છે.
લીલો દુકાળ જાહેર કરવાની માગણી સાથે આજે વડીયામાં ધરણા
તાજેતરમાં માવઠાના કારણે અમરેલી જિલ્લામાં થયેલા ખેતીમાં વ્યાપક નુકસાનને ધ્યાને લઈ સરકાર લીલો દુકાળ જાહેર કરે એવી માગણી સાથે વડીયામાં અતિથિ ગૃહ પાસે પ્રતીક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડુતોને પાકમાં થયેલા નુકસાન બાબતે વળતર આપવાની માગણી સાથે ખેડૂતો આ સત્યાગ્રહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે










