![]()
Gujarat Unseasonal Rain: માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોચાડયુ છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે. બીજી તરફ, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ સરવે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા ઉભી થતાં સરકારની જ વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થયાં છે. આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભુ થયુ છે. પાક નુકસાનીનો સરવે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોમાં એવો અવાજ ઉઠ્યો છે કે, ખેતીને એટલું નુકસાન પહોચ્યું છે કે, સહાયથી નુકસાનીની ભરપાઈ થાય તેમ નથી.
આ પણ વાંચોઃ ભાવનગરના ખેડૂતોનો સર્વે કામગીરીનો ઉગ્ર વિરોધ: 100 ટકા વળતરની માંગ, આજે કલેક્ટરને આવેદનપત્ર અપાશે
સરકારી નિર્ણયોમાં વિસંગતતા
ચાલુ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે લાભદાયી ઓછુ નિવડ્યું છે જ્યારે નુકસાનકારક વધુ સાબિત થયુ છે. ભારે વરસાદ વરસતાં લગભગ ચોમાસું પાક લઈ શકાયો નથી. હજુ તો પાક નુકસાનીના સરવેને લઇને ખુદ સરકારમાં જ વિસંગતતા સર્જાઈ છે કેમકે, કૃષિવિભાગના પરિપત્ર મુજબ, 20 દિવસમાં સરવે આટોપી લેવાશે. કૃષિમંત્રી વાઘાણીએ જાહેરાત કરી કે, સાત દિવસમાં સરવે પૂર્ણ થઈ જશે. હવે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, ત્રણ દિવસમાં સરવે પૂર્ણ કરીને પેકેજ જાહેર કરાશે. હવે સાચુ શું? હજી સુધી સરકાર નક્કર નિર્ણય પણ કરી શકી નથી પરિણામે ખેડૂતો રોષે ભરાયાં છે. એટલુ જ નહીં, વિસંગતતા ઉભી થતાં ખેડૂતોની સરકાર પ્રત્યે વિશ્વસનીયતા ઘટી છે.
દેવું માફ કરવાની માંગ
ખેડૂતોનું કહેવું છે કે, મોંઘુ બિયારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેત મજૂરી પછી વરસાદને લીધે ખેતી તબાહ થઈ છે. બેન્કમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય તે પછી હાથમાં કશું આવે જ નહીં તો હપ્તા ભરવા કેવી રીતે? આ સંજોગોમાં સરકારે પાક સહાયની સાથે સાથે ખેડૂતોનું બેન્ક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ. ખેડૂતોએ સવાલ કર્યો છે કે, જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતાં હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં?
આ પણ વાંચોઃ ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકતા અપાશે
ભાજપના ધારાસભ્યોએ બંક ધિરાણ માફ કરવાની માંગ કરી સરકારને ભેખડે ભરાવી
ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવા ભાજપના મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે, કેટલાંક ધારાસભ્યોએ જ રાહત સહાયની સાથે સાથે ખેડૂતોના બેન્ક ધિરાણ માફ કરવા સરકારમાં રજૂઆત કરી છે, જેથી સરકાર ભેખડે ભરાઇ છે. હજુ પાક સહાયના જ ઠેકાણાં નથી ત્યાં બેન્ક ધિરાણની ક્યાં માંડવી. તેનું કારણ એ છે કે, જો સરકાર કૃષિ પેકેજ ઉપરાંત બેન્ક ધિરાણ માફ કરે તો સરકારી તિજોરી પર ભારણ વધી શકે તેમ છે જે હાલ સરકારને પોષાય તેમ નથી. આ જોતાં ભાજપના ધારાસભ્યો જ ભાજપ સરકારની મુશ્કેલી વધારી રહ્યાં છે.
ખેડૂતોમાં રોષ
હજુ પાક સહાય ક્યારે મળશે તે નક્કી નથી ત્યારે કૃષિ સહાય અને બેન્ક ધિરાણ માફ કરવાની માંગ પૂરી નહી થાય તો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને ખેડૂતોની નારાજગી ભારે પડી શકે તેમ છે.










