![]()
Indian Air Force Air Show in Northeast India : ભારતીય વાયુસેના (IAF)ની 93મી વર્ષગાંઠ નિમિત્તે રવિવારે ગુવાહાટી ખાતે બ્રહ્મપુત્ર નદીના લાચિત ઘાટ પર પ્રથમ મેગા એર શોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શોમાં 75થી વધુ વિમાનો અને હેલિકોપ્ટરોએ શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
પૂર્વોત્તર હવે કોઈ દૂરનો વિસ્તાર રહ્યો નથી : એર ચીફ માર્શલ
એર ચીફ માર્શલ એ.પી.સિંહએ આ પ્રસંગને દેશ માટે સન્માનની વાત ગણાવતાં કહ્યું કે, ‘પૂર્વોત્તર હવે કોઈ દૂરનો વિસ્તાર રહ્યો નથી. પૂર્વોત્તરના લોકોનો ઉત્સાહ જોતાં અહીં વાયુસેના દિવસનું આયોજન કરવું જરૂરી હતું. વાયુસેના દ્વારા આ વિસ્તારમાં અભ્યાસ નિયમિતપણે થતા રહે છે. એવું નથી કે, અમે કોઈ ખાસ ઉદ્દેશ્ય માટે આ કરી રહ્યા હોય.’
વાયુસેનાનું શક્તિ પ્રદર્શન ઊંધઘ ઊડાવનારું : CM સરમા
અસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા (CM Himanta Biswa Sarma,)એ વાયુસેનાના આ પ્રદર્શનને દુશ્મનોની ઊંઘ ઉડાવનારું ગણાવ્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘ચિકન નેક કૉરિડોર અને ચાર આંતરરાષ્ટ્રીય સીમાઓ પાસે શક્તિ, કૌશલ્ય અને સાહસનું આ પ્રદર્શન અત્યંત ઉત્પાહજનક છે.’ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તરે લાંબી સફર ખેડી હોવાનું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો : VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત
અરુણાચલ પ્રદેશમાં આઠ અદ્યતન એર બેઝ કાર્યરત
પૂર્વીય વાયુ કમાન્ડના એર માર્શલ સૂરત સિંહએ જણાવ્યું કે, ‘વાયુસેનામાં પૂર્વોત્તરના લોકો મોટી સંખ્યામાં હોવાથી એર શો યોજવા માટે આ ક્ષેત્રની પસંદગી કરવામાં આવી છે. ગુવાહાટીને પૂર્વોત્તરના પ્રવેશદ્વાર તરીકે પસંદ કરીને વાયુસેનાએ પ્રાદેશિક લોકો સાથે જોડાણનો સંકેત આપ્યો છે. ભારતીય વાયુસેના આ ક્ષેત્રમાં કામગીરી માટે સંપૂર્ણપણે તૈયાર છે. અરુણાચલ પ્રદેશમાં આઠ અદ્યતન એર બેઝ કાર્યરત છે અને ત્યાં નિયમિતપણે અભ્યાસ કરવામાં આવે છે.’
વાયુસેનાએ અનેક વિમાનો સાથે કર્યું શક્તિ પ્રદર્શન
આ મેગા શોમાં રાફેલ, સુખોઈ, અપાયે, મિગ, મિરાજ, જગુઆર, સી-17 ગ્લોબમાસ્ટર, આઈએલ-78 રિફ્યુલર, અને સૂર્ય કિરણ જેવા અદ્યતન વિમાનો જોવા મળ્યા હતા. આ તમામ વિમાનો ગુવાહાટી, તેજપુર, જોરહાટ, ચાબુઆ, હસિમારા, બાગડોગરા અને પનગઢ એરબેઝ પરથી સંચાલિત કરાયા હતા. શોમાં અસામના દિવંગત લોકપ્રિય ગાયક જુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
આ પણ વાંચો : ‘પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર’, મોહન ભાગવતનું મોટું નિવેદન










