![]()
Surat Corporation : સુરત શહેરના મોટા ભાગના ફ્લાય ઓવરબ્રિજ બ્યુટીફિકેશન હેઠળ આવરી લેવાયા છે આવી જ રીતે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે બ્યુટીફીકેશનની કામગીરી કરવા માટે આયોજન થઈ રહ્યું છે. સ્થાનિક સોસાયટીની રજુઆત બાદ સુરત ઉત્તરના ધારાસભ્યએ જાહેરાતના અપાયેલા હક્કો કાયમી ધોરણે દુર કરીને આ વિસ્તારના બ્રિજને પણ બ્યુટીફીકેશન હેઠળ આવરી લેવા પત્ર લખ્યો હતો. આ અંગેની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે તેના પર નિર્ણય કરાશે.
સુરતના પાર્લે પોઈન્ટ ફ્લાય ઓર બ્રિજ, અડાજણના સરદાર બ્રિજ સહિત અનેક ફ્લાય ઓવર બ્રિજ નીચે પાલિકાએ બ્યુટીફીકેશનની કામગીરી કરી છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે જાહેરાતના હક્કો આપવા ઉપરાંત શ્રમજીવીઓનો અડ્ડો બની ગયું છે. પાલિકાએ આ જગ્યાએ જાહેરાતના હક્કો આપીને વાર્ષિક 1.36 કરોડની આવક મેળવી છે. જોકે, આ ફ્લાય ઓવર બ્રિજની આસપાસની સોસાયટીમાં રહેતા લોકોએ એવી ડિમાન્ડ કરી છે કે શહેરના અન્ય ફ્લાય ઓવર બ્રીજનું જો બ્યુટીફિકેશન થતું હોય તો વરાછા ફ્લાયઓવર બ્રિજનું બ્યુટીફીકેશન કેમ નહીં થાય,. આ અંગેની રજૂઆત તેઓએ ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિ બલરને કરી હતી. સોસાયટીના પત્રોના આધારે ધારાસભ્ય બલરે પાલિકા તંત્રને એક પત્ર લખ્યો છે જેમાં કાયમી ધોરણે વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચેના હક્કો રદ્દ કરવા અને જે ભીખારીઓનું ન્યુસન્સ છે અને ગંદકી રહે છે તે પણ દુર કરીને બ્યુટી ફીકેશનની કામગીરી કરવી જોઈએ તેવું જણાવ્યું છે. ધારાસભ્યના પત્ર બાદ પાલિકાની સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત રજુ કરવામાં આવી છે જેના પર આગામી દિવસોમાં નિર્ણય કરાશે.









