![]()
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ સંપન્ન સુવર્ણ પદકમાં નારીશક્તિ અગ્રેસર: 129 વિદ્યાર્થીનીઓ અને 49 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ : કુલ 43,792ને પદવી તેમાં સૌથી વધારે વાણિજ્ય-વિનયન શાખાના
રાજકોટ, : પશ્ચિમ રાજકોટમાં 363 એકરના વિશાળ પરિસરમાં તા.23-5-1967 ના સ્થપાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલય)નો આજે 60મો પદવીદાન અર્થાત્ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે શિક્ષણ એ છે જે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ધૈર્ય, સંસ્કારિતા, નિર્ભયતા, મૂલ્યનિષ્ઠાના ગુણોનું સિંચન કરે. વિદ્યાર્થીઓને યુવાનો સ્વાવલંબી અને સ્વદેશીના આગ્રહી બનવા તેમણે આહવાન કર્યું હતું.
કુલાધિપતિએ વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ માત્ર સુશિક્ષિત હોય તે પૂરતું નથી, ગુણવાન અને સંસ્કારી હોવા જોઈએ. આચાર્યની ફરજ વિદ્યાર્થીઓને માત્ર અક્ષરજ્ઞાાન આપવાની જ નહીં પરંતુ, સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થકી ભવિષ્યનું નિર્માણ કરે તે જ આચાર્ય. ભારત વિશ્વમાં મહત્વના સ્થાન પર છે જ્યાં જ્ઞાાન એ પ્રમાણ અને ગુણવત્તાની દ્રષ્ટિએ એક સંપત્તિ છે. ભારતની પુરાતન વિરાસતોનું સંરક્ષણ થાય અને વિદ્યાર્થીઓ વિજ્ઞાાનનું જ્ઞાાન પણ મેળવે તેની માટે નવી શિક્ષણ નીતિ અમલમાં મુકાઈ છે.જ્યારે સૌ.યુનિ.ના કુલપતિ પ્રો.ઉત્પલ જોષીએ જણાવ્યું કે દીક્ષાંત સમારોહ એ ભારતની પ્રાચીન ઋષિ પરંપરા છે, વિદ્યાભ્યાસના આરંભ એક સંસ્કાર છે તેમ તે પૂર્ણ થાય તે પણ એક સંસ્કાર છે. યુનિ.શિક્ષણ સાથે સંશોધન,કૌશલ્ય પણ કેળવે છે.
આજે સૌરાષ્ટ્રની 295 કોલેજોમાં અભ્યાસ પૂરો કરનાર 43,792 વિદ્યાર્થીઓને પદવી અપાઈ જેમાં 160 વિદ્યાર્થીઓને સુવર્ણપદક મેળવનારામાં નારી શક્તિ અગ્રેસર રહી હતી. 149 વિદ્યાર્થીનીઓ અને 49 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાયા છે.
ડિગ્રી અર્થાત્ પદવી મેળવનારા કૂલ 43,792 વિદ્યાર્થીઓમાં સૌથી વધુ કોમર્સ (વાણિજ્ય)ના 11,234 અને આર્ટ્સ (વિનયન)ના 10,675 એટલે કે પચાસ ટકા જેટલા આર્ટ્સ કોમર્સના હતા. જ્યારે સૌથી ઓછી સંખ્યા ગ્રામવિદ્યામાં 130, ગૃહવિજ્ઞાાનમાં 226, જીવન વિજ્ઞાાનમાં 229 હતી. તબીબી, કાયદા, વિજ્ઞાાન સહિત કૂલ 14 વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી, ધારાસભ્યો,શિક્ષણક્ષેત્રના અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા.










