![]()
અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકની છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ ૪-૬ ફેબ્રુઆરી દરમિયાન નિર્ધારિત તેની નાણાકીય સમીક્ષામાં રેપો રેટ અને વલણમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી. અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે જો વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડાનું જોખમ હોય તો જ વધુ દરમાં ઘટાડો થશે. આ સર્વે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ તે પહેલાં કરવામાં આવ્યો હતો.
નાણાકીય નીતિ સમિતિએ ડિસેમ્બર ૨૦૨૫માં રેપો રેટ ૨૫ બેસિસ પોઈન્ટ ઘટાડીને ૫.૨૫% કર્યો હતો. તે પહેલાં, બે બેઠકોમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા દર ઘટાડાના ચક્રમાં કુલ રેપો રેટમાં ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં વૃદ્ધિ ચાલુ રહેવાની ધારણા છે, અને ફુગાવો ધીમે ધીમે ૪% ની નજીક પહોંચી શકે છે. પરિણામે, નાણાકીય નીતિ સમિતિ તેની આગામી બેઠકમાં દરને યથાવત રાખવાનો નિર્ણય લઈ શકે છે.
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૭માં વૃદ્ધિ દર ૬.૯% રહેવાની ધારણા છે, અને ફુગાવો પણ ૪%ની નજીક આવી શકે છે. આ જોતાં, એવું નથી લાગતું કે રિઝર્વ બેંક હવે રેપો રેટમાં ઘટાડો કરશે.
કેટલાક અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના મધ્યમાં નવા આધાર વર્ષ પર આધારિત છૂટક ફુગાવો અને કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ડેટા જાહેર ન થાય ત્યાં સુધી મૂલ્યાંકનની રાહ જોવી જોઈએ.
મોટાભાગના સહભાગીઓ માને છે કે રેપો રેટ ૫.૨૫% પર રહેશે અને વધુ કોઈ ઘટાડો થશે નહીં. જો વૃદ્ધિ નોંધપાત્ર રીતે નબળી પડે તો જ સમિતિ દરમાં ઘટાડો કરશે, એટલે કે એકંદરે દર ઘટાડાને લાંબા સમય સુધી થોભાવી શકાય છે.










