![]()
અમદાવાદ : ભારતમાં લિસ્ટેડ કંપનીઓ હવે ટેક્સ વસૂલાતમાં અનલિસ્ટેડ કંપનીઓને પાછળ છોડી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના માર્કેટ પલ્સ રિપોર્ટ અનુસાર કુલ કોર્પોરેટ ટેક્સ વસૂલાતમાં અનલિસ્ટેડ કંપનીઓનો હિસ્સો નાણાંકીય વર્ષ ૨૦૨૫માં ઘટીને ૪૭ ટકા થયો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં આ હિસ્સો ૫૫.૬ ટકા હતો.
એનએસઈના ડેટા અનુસાર, કોરોના મહામારીએ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ વચ્ચે ટેક્સ ચૂકવણીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નાણાં વર્ષ ૨૦૨૧માં લિસ્ટેડ કંપનીઓએ ટેક્સ ચૂકવણીમાં ૨૨ ટકા વધારો કર્યો છે, જ્યારે અનલિસ્ટેડ કંપનીઓની ટેક્સ વસૂલાતમાં ૪૫ ટકા ઘટાડો થયો છે. આના પરિણામે કુલ કોર્પોરેટ ટેક્સ વસૂલાતમાં લિસ્ટેડ કંપનીઓનો હિસ્સો ૬૦.૬ ટકા પર પહોંચી ગયો, જે ૧૮ વર્ષનું સૌથી ઉચ્ચતમ સ્તર હતુ.
ભારતનું અર્થતંત્ર જેમ જેમ ફરી ખુલ્યું, તેમ તેમ અનલિસ્ટેડ કંપનીઓએ ઝડપી રિકવરી નોંધાવી હતી. નાણાં વર્ષ ૨૦૨૫માં તેમનું યોગદાન વધીને ૪૭ ટકા થયું. જોકે આજદિન સુધી આ લેવલ ૨૦૧૯ના મહામારી પહેલાના સ્તર ૫૫.૬ ટકા કરતા ઓછું જ છે.
લિસ્ટેડ કંપનીઓ પાસે મૂડી એકત્ર કરવાના વધુ સારા માધ્યમો છે. અનલિસ્ટેડ કંપનીઓ સામાન્ય રીતે નાની હોય છે અને મોટાભાગે બેંક લોન પર આધાર રાખે છે. દરમિયાન, લિસ્ટેડ કંપનીઓ પાસે બોન્ડ અને ઇક્વિટી બજારોનું ઍક્સેસ હોય છે, જેનાથી તેઓ રોકાણ વધારી શકે છે, ટેકનોલોજીમાં સુધારો કરી શકે છે અને ખર્ચ નિયંત્રિત કરી શકે છે.
સરકાર હવે બહુવિધ સ્ત્રોતોમાંથી કંપનીઓ વિશે માહિતી મેળવે છે. તેમાં નાણાકીય વ્યવહારોના ટ્રાન્ઝેકશનો, વિભાગો અને દેશો વચ્ચે માહિતીનું આદાનપ્રદાન અને જીએસટી ડેટાનો સમાવેશ થાય છે. આ કડકાઈ અને પારદર્શિતા કોર્પોરેટ ટેક્સ વસૂલાત પ્રક્રિયાને વધુ મજબૂત બનાવે છે.










