![]()
Gujarat BJP: ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને ભાજપના નેતાઓનો રીતસર ઉધડો લીધો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુંકે, ‘રાજનીતિ એ મેરેથોન છે. કોઈ શોર્ટ કટ નથી. માત્રને માત્ર હોદ્દા માટે પક્ષમાં આવશો નહીં. પદ હોય કે નહીં, પક્ષ માટે કામ કરો. પોતાના જિલ્લામાં તમે જ પક્ષ બની બેસો. એ ન ચાલે. તમારા જ માણસોને સેટ કરી દેવાના. આ નીતિ પક્ષ માટે યોગ્ય નથી.’
ધારાસભ્ય-સાંસદોને ટકોર
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કમલમ ખાતે પ્રદેશ નેતા, શહેર પ્રમુખો ઉપરાંત અન્ય પદાધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં તેમણે પ્રભારીઓની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. નીતિન નબીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુંકે, ‘તમે પ્રભારી જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો. એ જ જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો. તમે પોતે જ જાણે પક્ષ બની બેસો છો. આ નીતિ યોગ્ય નથી.’
નીતિન નબીને માર્ગદર્શન આપ્યું કે, ‘ભાજપના પ્રતિનિધિની સમાજ પર સજ્જડ પકડ હોવી જોઈએ. આવુ હશે તો, લાભ પક્ષને મળશે. તમે જે પદ પર છો તેનાથી બે ડગલાં નીચે ઉતરીને કામગીરી કરો તો ધાર્યુ પરિણામ મળી રહેશે.’ આ ઉપરાંત તેમણે પદાધિકારીઓને પોતાની છબી સકારાત્મક રાખવા પણ સલાહ આપી હતી. ધારાસભ્ય-સાંસદો સાથેની બેઠકમાં પણ નીતિન નબીને ખાસ ટકોર કરીકે, ઘેર બેઠાં કાર્યાલય ચલાવશો નહીં. જમીન પર ઉતરો, લોકો વચ્ચે જાઓ અને જનસંપર્કને વધુને વધુ ધનિષ્ઠ બનાવો.
આ પણ વાંચો: ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા
આગામી વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેમણે તાકીદ કરીકે, લોકપયોગી યોજનાઓ લોકો સુધી પહોચાડો. આ ઉપરાંત બુથ લેવલના આંકડાઓ એકત્ર કરો. તેમણે એ વાતનો પણ ખાસ ઉલ્લેખ કર્યો કે,આજના જમાનામાં સોશિયલ મિડીયાનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ચૂંટાયેલી પાંખનું સોશિયલ મીડીયા નેટવર્ક નબળું રહ્યું છે. નીતિન નબીને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા પ્રદેશ નેતાઓથી માંડીને અન્ય પદાધિકારીઓને ટકોર કરી હતી. ગુજરાત આવેલાં રાષ્ટ્રીય અધ્યક્ષની નારાજગી ભાજપમાં ચર્ચાનો વિષય બની રહી છે.
AI સમિટમાં કોંગ્રેસના વિરોધ સામે કેટલાં લોકોએ પોસ્ટ કરી?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કમલમમાં પદાધિકારીઓને સોશિયલ મીડિયામાં સક્રિય રહેવા ટકોર કરી હતી. એટલુ જ નહીં, તેમણે સવાલ કર્યોકે, ગઇકાલે AI સમિટમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો જે મુદ્દે કેટલાં લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી? આ સાંભળી હોલમાં માત્ર ગણ્યાં ગાંઠ્યાં લોકોએ જ હાથ ઉંચા કર્યા હતાં. જે જોઇએને અધ્યક્ષે કહ્યું કે, ‘જો જવાબદાર લોકોમાંથી માત્ર આટલાં જ લોકો સક્રિય હોય તો, ભાજપનું સંગઠન કેવી રીતે ચાલશે?’










