![]()
તાજેતરમાં સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ડિઝાઇન સ્ટ્રક્ચરનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અમદાવાદના એક મુસાફરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ બાકીનું જોખમી સ્ટ્રક્ચર પણ તાત્કાલિક ઊતારી લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.
સ્ટ્રક્ચર દૂર કરવાની કામગીરી દરમિયાન એસટી બસોની અવરજવર માટે જનમહાલ ખાતેથી વૈકલ્પિક એન્ટ્રી અને એક્ઝિટ શરૂ કરાઈ હતી, પરંતુ આ વ્યવસ્થા અચાનક બંધ કરી દેવાતાં બે વિભાગો વચ્ચે વિવાદ સર્જાયો છે.
આ અંગે સીટી બસ સંચાલક નરેન્દ્ર રાણાએ જણાવ્યું કે, કડકબજાર બસ સ્ટેન્ડ હાલ રિનોવેશના કારણે બંધ છે, જેથી ૧૫૦ જેટલી બસોનું સંચાલન આ બસ સ્ટેન્ડ પરથી થઈ રહ્યું છે. એસટી બસોને માર્ગ આપવાથી સિટિ બસના મુસાફરો માટે જોખમ ઊભું થાય છે. એસટી વિભાગ તરફથી લેખિતમાં કોઈ બાંયધરી કે સમયમર્યાદા આપવામાં આવી નથી. દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
એસટી વિભાગના ડિવિઝનલ કંટ્રોલર જિગ્નેશ પટેલના મતે સિટિ બસ સંચાલકોએ મનસ્વી રીતે અને એકતરફી નિર્ણય લઈ વૈકલ્પિક માર્ગ બંધ કરી દીધો છે. પરિણામે હવે એસટી બસો તે જ સ્થળ પરથી પસાર થવા મજબૂર બની છે, જ્યાં સ્ટ્રક્ચર તૂટી પડયું હતું, હજી કેટલોક ભાગ ઊતારવાની કામગીરી બાકી છે.










