![]()
’26માં 1877 જેવી સ્થિતિ બની રહી છે : વિશ્વ ચિંતામાં છે
પ્રશાંત મહાસાગરમાં અલનીનોનો ઉષ્ણપ્રવાહ જામતો જાય છે : ૧૮૭૭માં ભયંકર સુપર નીનો જાગ્યો ત્યારે ભૂખમરાથી કરોડોના જાન ગયા હતા
નવી દિલ્હી: દુનિયામાં ફરી એકવાર ઋતુ ચક્રમાં ભયંકર પરિવર્તનનો ખતરો ઝળુંબી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં ઝડપભેર અલનીનો પ્રવાહ વિકસી રહ્યો છે. જે બેહદ શક્તિશાળી બનવાની ભીતિ રહેલી છે. ઋતુ ચક્ર વિજ્ઞાાનીઓ તેથી ચિંતાગ્રસ્ત છે. તેઓ કહે છે કે આ સ્થિતિ એક ભયંકર દુઃસ્વપ્ન સમાન બને તેમ છે.
૧૮૭૭માં જ્યારે સુપર નીનો જાગ્યો હતો ત્યારે દુનિયાના અનેક દેશોમાં કારમો દુષ્કાળ પડતાં કરોડોના જાન ગયા હતા. ૨૦૨૬માં પણ લગભગ આવી જ સ્થિતિ ઉત્પન્ન થવાની ભીતિ છે. તેથી ભારત સહિત દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ઇતિહાસનાં પાનાં ફેરવીયે ત્યારે ૧૮૭૭/૭૮માં વરસાદ ન થવાથી ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાં ભયંકર દુષ્કાળ પડયો હતો, જેને વિજ્ઞાાનીઓને ગ્રેટ ફેમાઇન તેવું નામ આપ્યું હતું. તેમાં ભૂખમરાથી કરોડોના જાન ગયા હતા.
વિજ્ઞાાનીઓ કહે છે કે સમુદ્રની સપાટી ઉપરનું તાપમાન અત્યંત વધી જતાં આ સદીનું સૌથી મોટું ઋતુચક્ર પરિવર્તન થવાની ભીતિ રહેલ છે.
તાજાં વૈજ્ઞાાનિક આકલનો પ્રમાણે આ વર્ષે મેથી જુલાઈ વચ્ચે અલનીનો પ્રવાહ ઊભો થવાની પૂરી શક્યતા છે. પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. મોસમ વિજ્ઞાાનીઓ ચેતવણી આપે છે કે ગ્લોબલ વૉર્મિંગ વધતાં આ ઘટના વધુ ભયાનકરૂપ થઇ શકે તેમ છે. આથી ભારતના દક્ષિણ પશ્ચિમના મોસમી પવનો ઉપર અસર પડતાં વરસાદ ઘટતાં ઉત્તર પશ્ચિમ અને ગુજરાત તથા મધ્યભારતમાં દુષ્કાળ અને ભીષણ લૂનું સંકટ ઊભું થવાની શક્યતા છે. વરસાદ ઘટતાં અનાજ ઘટશે તેથી લાખ્ખો લોકો ભૂખમરા જેવી સ્થિતિમાં ભારતમાં આવી જશે.










