![]()
Rahul Gandhi in Raebareli: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલીની મુલાકાતે પહોંચ્યા છે. ‘બડા મંગલ’ના ખાસ પ્રસંગે તેમણે ચુરુઆ હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી બજરંગબલીના દર્શન કર્યા હતા. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધન વિશે સવાલ કર્યો, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ અત્યારે મુખ્ય મુદ્દા પરથી ભટકવા નથી માંગતા અને આ સમયે દેશમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો જ સૌથી મોટો અને ગંભીર મુદ્દો છે.
પેટ્રોલ-ડીઝલની મોંઘવારી પર રાહુલ ગાંધીના પ્રહાર અને પીએમ મોદી પર તંજ
દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને લઈને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે સીધા પીએમ મોદીની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે, ‘આજે જ્યારે દેશ અને દુનિયા સામે આટલો મુશ્કેલ સમય આવી રહ્યો છે, ત્યારે આપણા પીએમ મોદી આખી દુનિયાના લોકોને કહી રહ્યા છે કે તમે બહાર ન જાઓ, પરંતુ તેઓ ક્યારેક વિમાન લઈને નોર્વે ચાલ્યા જાય છે, તો ક્યારેક જાપાન કે અન્ય કોઈ જગ્યાએ જતા રહે છે.’
‘જનતાને લાગશે મોટો આર્થિક આંચકો, અદાણી-અંબાણીને કોઈ ફરક નહીં પડે’
રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘સરકારની ખોટી નીતિઓના કારણે આગામી દિવસોમાં દેશની સામે ઘણો કપરો સમય આવવાનો છે.’ સરકાર અને દેશના મોટા ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ પર નિશાન સાધતાં તેમણે ઉમેર્યું કે, ‘દેશમાં જે આ મોટો આર્થિક આંચકો આવી રહ્યો છે, તેની અસર ઉપર બેઠેલા લોકો પર બિલકુલ નહીં થાય.’
આ પણ વાંચો: જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ
તેમણે વધુમાં કહ્યું કે, આ આર્થિક ફટકો દેશના મોટા ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીને નહીં લાગે કે ન તો પીએમ મોદીને આનાથી કોઈ ફરક પડવાનો છે, કારણ કે તેઓ તો આરામથી પોતાના મહેલોમાં બેઠા રહેશે. આ ખોટી નીતિઓનો હિન્દુસ્તાનના મજૂરો, યુવાનો અને નાના વેપારીઓને સહન કરવો પડશે.









