![]()
Rebellion in TMC After Bengal Defeat : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના હાથે પરાજયનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભડકો થયો છે. પક્ષની અંદરનો વ્યાપક અસંતોષ અને આંતરિક કલહ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયા છે. મમતા બેનર્જીના વિરોધ પ્રદર્શનમાંથી અડધાથી વધુ ધારાસભ્યો ગાયબ રહેતા અને બે નગરપાલિકાઓના કાઉન્સિલરોએ (પાર્ષદો) સામૂહિક રાજીનામા ધરી દેતાં બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.
મમતાના ધરણા પ્રદર્શનથી ધારાસભ્યોએ બનાવી દૂરી
પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી ભાજપ સરકાર (મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી) દ્વારા કરવામાં આવી રહેલી બુલડોઝર કાર્યવાહી, ફૂટપાથના દુકાનદારો હટાવવાની ઝુંબેશ અને ચૂંટણી પછીની હિંસાના વિરોધમાં ટીએમસી દ્વારા વિધાનસભા પરિસરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે એક મોટા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ પ્રદર્શને પક્ષની નબળાઈ છતી કરી દીધી છે. ટીએમસીના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 36 ધારાસભ્યો જ આ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા, જ્યારે 44 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. પક્ષ જ્યારે જમીની પકડ મજબૂત કરવા મથી રહ્યો છે ત્યારે જ અડધાથી વધુ ધારાસભ્યોની ગેરહાજરી પક્ષમાં મોટા જૂથવાદ તરફ ઈશારો કરે છે.
બંધ બારણે બેઠકો કરવાથી જનતાનો ભરોસો નહીં જીતાય: ધારાસભ્યોનો આક્રોશ
આ પૂર્વે 19 મે ના રોજ કાલીઘાટ ખાતે મમતા બેનર્જી અને પક્ષના મહાસચિવ અભિષેક બેનર્જીની હાજરીમાં મળેલી બેઠકમાં પણ 15 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. હાજર રહેલા નેતાઓએ પક્ષની રણનીતિ સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. કલકત્તા અને હાવડાના ધારાસભ્યોએ ફલતા બેઠક પરથી મતદાનના બરાબર બે દિવસ પહેલાં જહાંગીર ખાને ચૂંટણી મેદાન કેમ છોડ્યું અને તેની સામે હજુ સુધી કોઈ શિસ્તભંગના પગલાં કેમ ન લેવાયા તે અંગે હાઈકમાન્ડને ઘેર્યું હતું. આ આક્ષેપો સીધા ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જી તરફ હતા, કારણ કે ફલતા બેઠક તેમના વિસ્તાર હેઠળ આવે છે.
બે નગરપાલિકાઓમાં મોટો બળવો, 31 કાઉન્સિલરોના રાજીનામા
બીજી તરફ, ઉત્તર 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસને સૌથી મોટો આંચકો લાગ્યો છે. કાંચરાપાડા નગરપાલિકાના 24 માંથી 15 કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. જ્યારે હલીશહર નગરપાલિકાના 23 માંથી 16 કાઉન્સિલરોએ કાઉન્સિલર રાજુ સાહનીના નેતૃત્વમાં કટોકટીની બેઠક યોજીને સામૂહિક રાજીનામા સુપરત કરી દીધા છે, જેમાં 5 મહિલાઓ પણ સામેલ છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ સ્થાનિક નેતાઓની નિષ્ક્રિયતા અને નગરસેવાઓના ધાંધિયાથી આ સભ્યો નારાજ હતા.
શું કાઉન્સિલરો ભાજપમાં જોડાશે?
આ રાજીનામા પાછળ ભાજપના બીજપુરના ધારાસભ્ય સુદીપ્ત દાસની મોટી ભૂમિકા હોવાનું મનાય છે, જેમણે તાજેતરમાં જ આ નારાજ સભ્યો સાથે બેઠક કરી હતી. ધારાસભ્ય સુદીપ્ત દાસે રાજીનામું આપનાર 16 કાઉન્સિલરોની યાદી જાહેર કરીને જનતાને ખાતરી આપી છે કે, “નગરપાલિકા વહીવટમાં સામાન્ય નાગરિકોની સુવિધાઓ પર કોઈ અસર નહીં પડે.” રાજકીય પંડિતોના મતે આગામી દિવસોમાં આ તમામ બળવાખોર કાઉન્સિલરો કેસરીયો ધારણ કરી શકે છે. હાલ આ સમગ્ર ઘટનાક્રમ પર મમતા બેનર્જી અને ટીએમસી નેતૃત્વએ મૌન સેવી લીધું છે.










