![]()
– ચોમાસામાં 90 ટકા વરસાદ થશેઃ હવામાન વિભાગની ખેડૂતો માટે ચિંતાજનક આગાહી
– ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન સહિત આઠ રાજ્યોને જૂનમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા નથી
– સપ્ટેમ્બરમાં અલ નીનોની સૌથી વધારે અસર થવાની હોવાથી વાતાવરણમાં અણધાર્યા પલટાની પેટર્ન જોવા મળશે : હવામાન વિભાગ
નવી દિલ્હી : હવામાન વિભાગે ચોમાસાનું બીજી વખત પૂર્વાનુમાન જાહેર કર્યું છે એ ચિંતાજનક છે. ત્રણ વર્ષ પછી પહેલી વખત એવી સ્થિતિ આવી છે કે ચોમાસામાં પર્યાપ્ત વરસાદ થવાનો નથી. ખેડૂતોને ચિંતા કરાવે એવું અનુમાન રજૂ થયું છે. એપ્રિલ-મે મહિનાની આકરી ગરમી લોકો એ આશાએ સહન કરી લે છે કે જૂનના બીજા સપ્તાહમાં તો વરસાદના અમી છાંટણા થઈ જશે અને એ ગરમીમાં ઠંડું પાણી રેડશે, પરંતુ આ વર્ષે એ આશા પર પાણી ફરી વળ્યું છે. જૂન માસમાં કેટલાય રાજ્યોમાં હીટવેવનો અનુભવ થશે. આ બધું અલ નીનોના કારણે થશે.
હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહાપાત્રાએ ચિંતાજનક ચેતવણી આપી હતી કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે. વરસાદ ૯૦ ટકા થશે અને એમાં ચાર ટકા ઉપર-નીચે રહેવાની પણ ધારણા છે. તેનો અર્થ એ કે જો વધારે સારી સ્થિતિ હશે તો ૯૪ ટકા વરસાદ થશે ને વધારે ખરાબ સ્થિતિ હશે તો વરસાદ ૮૬ ટકા જ થશે. વરસાદ જો ૯૦ ટકા થાય તો એ ઓછો વરસાદ ગણાશે. ગયા વર્ષે ૧૦૮ ટકા વરસાદ સાથે ચોમાસાની ઋતુ પૂરી થઈ હતી.
વરસાદ ઓછો થશે તેની સીધી અસર ચોમાસું પાક પર પડશે. ખેડૂતોને ચિંતા થાય એવી સ્થિતિ સર્જાશે. ચોમાસું નબળું રહે એટલે ચોમાસું પાક તો ઓછો થાય જ, તે સિવાય આવતો ઉનાળામાં પણ પાણીની તંગીનો સામનો કરવાનો આવે. કારણ કે જળાશયોમાં જળનો સંગ્રહ ઓછો થાય તેની અસર બીજા વર્ષે પડે. જળસ્તરમાં કમી આવે તો સિંચાઈનું પાણી ખેડૂતોને મળતું નથી અને તેના કારણે આખું વર્ષ મુશ્કેલી પડે છે. અગાઉ પહેલી વખત પૂર્વાનુમાન થયું ત્યારે વરસાદ ૯૨ ટકા થશે એવી શક્યતા વ્યક્ત થઈ હતી.
હવામાન વિભાગના વડાના નિવેદન પ્રમાણે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા આઠ રાજ્યોમાં જૂન માસમાં ગરમી હાહાકાર મચાવશે. હવામાન વિભાગે ઘણાં રાજ્યોમાં ગંભીર હીટવેવ અને હીટવેવ અને મધ્યમ હીટવેવની આગાહી આપી છે. દેશના બદલાઈ રહેલા વાતાવરણ પાછળ અલ નીનોની અસર જવાબદાર છે. જૂનમાં અલ નીનોની અસર ભલે મધ્યમ રહેશે, પરંતુ સપ્ટેમ્બરમાં અલ નીનો દેશના વાતાવરણને તીવ્ર રીતે પ્રભાવિત કરશે. તેના કારણે વાતાવરણમાં અણધાર્યા પલટા થતાં રહેશે.
નબળા ચોમાસાના કારણે મોંઘવારી વધશે
એક તરફ મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ-ઉર્જાની અનિશ્ચિતતા છે. તેના કારણે મોંઘવારી વધી ચૂકી છે. પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે. બીજી તરફ ચોમાસું નબળું રહેશે તેની અસર પણ દેશના બજારમાં પડશે. નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ દાવો કરી રહ્યા છે કે જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ ઓછો થશે તો ખાણી-પીણી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમત વધશે. એપ્રિલમાં મોંઘવારી ૩.૪૮ ટકા હતી. વરસાદ ઓછો થશે તો મોંઘવારીનો દર ૫.૫ ટકા પહોંચી જાય એવી ભીતિ છે.
રાજ્યો ઓછા વરસાદ સામે લડવાની તૈયારી રાખે : કેન્દ્રની ચેતવણી
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઓછા વરસાદ બાબતે રાજ્ય સરકારોને તૈયાર રહેવાની તાકીદ કરી હતી. ચોમાસામાં ઓછો વરસાદ થાય તો ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય અને કઈ કઈ ડિમાન્ડ પૂરી કરવાની થશે તેનું આકલન કરવા કેન્દ્રના કૃષિ મંત્રાલયે રાજ્યોને જણાવ્યું છે. દરેક રાજ્યો જિલ્લા સ્તરે આયોજન બનાવે અને ઓછો વરસાદ થાય તો શું કરવું પડશે તેનો એક્શન પ્લાન જણાવવા પણ કહેવાયું છે. ખેડૂતોને સમયસર બીજ અને ખાતર વગેરે મળી રહે તેવી તાકીદ પણ મંત્રાલયના અધિકારીઓને કૃષિ મંત્રીએ કરી હતી. તેમણે એવુંય કહ્યું હતું કે બિયારણની જરૂરિયાત કરતાં ભારત પાસે વધારે જથ્થો પડયો છે એટલે એ ચિંતાનો વિષય નથી.










