![]()
મુંબઈ : છેલ્લા કેટલાક વર્ષથી કરન્સી નોટસની માગમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પોલિમર બેન્કનોટસ પ્રિન્ટ કરવાનો વિચાર ફરી પાછો ઊભો કર્યો છે. રિઝર્વ બેન્કની છેલ્લી બે બોર્ડ મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
પોલિમર બેન્ક નોટસ છાપવા પાછળ ઓછા ખર્ચ તથા તેના લાંબા સમય સુધીના ટકાઉપણાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક આવા પ્રકારની ચલણીનોટસને સર્ક્યુલેશનમાં મૂકવા ઈરાદો ધરાવે છે. આ અંગેનો પ્રાથમિક પ્રોજેકટ ટૂંક સમયમાં જાહેર થવાની વકી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. એટીએમમાંથી પણ આ નોટસ નીકળી શકશે માટે રિઝર્વ બેન્ક હવે તેમાં આગળ વધવા માગે છે.
પેપર કરન્સી નોટસના પ્રિન્ટિંગ પાછળ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં રૂપિયા ૬૩૭૨.૮૦ કરોડનો ખર્ચ થયો હતો. ટકાઉ બેન્કનોટસ પૂરી પાડવાનો રિઝર્વ બેન્કનો આ વિચાર પાછળનો હેતુ રહેલો છે. નાણાં વર્ષ ૨૦૨૫માં ૨૩.૮૦ અબજ ખરાબ બેન્ક નોટસનો નિકાલ કરાયો હતો. આમાંની મોટાભાગની નોટસ રૂપિયા ૫૦૦ના મૂલ્યની હતી.
ત્યારબાદ રૂપિયા ૧૦૦ના મૂલ્યની નોટસનો સમાવેશ થતો હતો. ડિજિટલ પેમેન્ટસનો જમાનો છતાં ૧૫મી મેના રોજ દેશમાં કરન્સી ઈન સર્ક્યુલેશન વાર્ષિક ધોરણે ૧૧.૫૦ ટકા વધી રૂપિયા ૪૨.૮૬ ટ્રિલિયનની વિક્રમી સપાટીએ રહી હોવાનું રિઝર્વ બેન્કના ડેટામાં તાજેતરમાં જણાવાયું હતું. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ દોઢ મહિનામાં કરન્સી ઈન સર્ક્યુલેશન રૂપિયા ૧.૧૫ ટ્રિલિયન વધી છે જે અર્થતંત્રમાં રોકડ માટેની માગમાં વધારો થયાનું સૂચવે છે.
૩૧મી માર્ચ ૨૦૨૬ના સમાપ્ત થયેલા નાણાં વર્ષના અંતે કરન્સી ઈન સર્ક્યુલેશનનો આંક રૂપિયા ૪૧.૪૭ ટ્રિલિયન રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે આ આંક રૂપિયા ૩૨.૨૪ ટ્રિલિયન રહ્યો હતો. વિશ્વમાં અત્યારે ૬૦ જેટલા એવા દેશો છે જ્યાં ચલણી નોટસ પોલિમરમાંથી તૈયાર કરવામાં આવે છે. ૧૯૮૮માં ઓસ્ટ્રેલિયાએ સૌ પ્રથમ પોલિમર બેન્કનોટસનું પ્રિન્ટિંગ કર્યું હતું.










