![]()
મુંબઈ : અલ નિનોની અસર, ચોમાસામાં વરસાદનું અસમાન વિતરણ તથા પશ્ચિમ એશિયા સંઘર્ષ લાંબો ચાલવાથી વર્તમાન નાણાં વર્ષમાં દેશના આર્થિક વિકાસ પર અસર પડશે તેવી રિઝર્વ બેન્ક દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
પોતાના વાર્ષિક રિપોર્ટમાં રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે, દેશના કૃષિ ક્ષેત્રનું આઉટલુક ચોમાસાની પ્રગતિ અને વરસાદ દરેક ક્ષેત્રમાં કેટલો પડે છે તેના પર આધારિત રહેશે. હવામાન સંબંધિત અનિશ્ચિતતા કૃષિ ઉત્પાદનો સામે ઘટાડા તરફી જોખમો ધરાવે છે. અલ નિનોની શકય સ્થિતિ કૃષિ ઉત્પાદન પર ઘટાડા તરફી જોખમ ધરાવે છે. વર્તમાન વર્ષમાં ચોમાસુ સામાન્ય કરતા નબળુ રહેવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આવી પડી છે. ભારતીય વેધશાળાએ વર્તમાન વર્ષમાં લાંબા ગાળાની સરેરાશના ૯૦ ટકા વરસાદની આગાહી કરી છે.
કૃષિ પાક જ્યાં વધુ લેવામાં આવે છે તેવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અસમાન રહેશે તો ખરીફ પાકના ઉત્પાદન તથા અન્ન ફુગાવા પર અસર પડશે તેવી વિશ્લેષકો દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. જો કે ચોમાસાના પાછલા ચરણમાં હકારાત્મક ઈન્ડિયન ઓસિયન ડીપોલ (આઈઓડી) સ્થિતિ ઊભરવાની શકયતા તરફ રિઝર્વ બેન્કે નિર્દેશ કર્યો છે. આ સ્થિતિથી અલ નિનોની પ્રતિકૂળ અસર આંશિક હળવી થવાની શકયતા છે.
પોઝિટિવ આઈઓડીથી ભારત પર ઊંચો વરસાદ આવશે અને કૃષિ ઉત્પાદન વધારવામાં મદદ કરશે.
પોતાના રિપોર્ટમાં રિઝર્વ બેન્કે ભૌગોલિકરાજકીય ઘટનાક્રમો ખાસ કરીને પશ્ચિમ એશિયા યુદ્ધને મોટું બહારી જોખમ તરીકે ગણાવ્યું છે. આ જોખમને કારણે ક્રુડ તેલના ભાવ ઊંચા રહેશે તથા ફુગાવો વધશે જે દેશની બૃહદ્ આર્થિક સ્થિરતા માટે પડકારો ધરાવે છે.










