![]()
ગોંડલ પાસે વૃક્ષ સાથે કાર ધડાકાભેર અથડાઇ
સાસણ ગીર ખાતે ફરીને રાજકોટ પરત ફરતી વખતે શ્રીનાથગઢ-મોવિયા રોડ પર થયેલા અકસ્માતમાં અન્ય ચારને ગંભીર ઇજા
ગોંડલ: ગોંડલ નજીક શ્રીનાથગઢ -મોવિયા રોડ ઉપર આજે બપોરનાં સુમારે કાર રસ્તાની સાઇડમાં આવેલા લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગોંડલ નજીક શ્રીનાથગઢ -મોવિયા રોડ ઉપર કાર લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માતમાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા પૂજાબેન જીતેનભાઈ રાજગોર (ઉ.વ.૨૮)નું મોત નીપજ્યું છે. મૃતક પુજાબેન રાજગોર ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં આરોપી હતા. અકસ્માતમાં નિરાલીબેન મોહિતભાઈ ગોહિલ (ઉ.વ.૩૦), લાલો સંજયભાઈ વધીયા (ઉ.વ.૪૨), સંજય રાજુભાઈ જાખલિયા (ઉ.વ.૩૨) અને ત્રિશા મહેશભાઈ દાઢીયા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો રાજકોટ શહેરના માધાપર ચોકડી આસપાસના વિસ્તારમાં રહે છે. તમામ લોકો સાસણગીર ખાતે ફરવા માટે ગયા હતા, અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ રોડની સાઇડમાં રહેલા લીમડાના ઝાડ સાથે ભટકાઈ હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તત્કાળ તમામ લોકોને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પૂજાબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય ચાર લોકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ અકસ્માતનો ભોગ બનનાર તમામ પાંચ વ્યક્તિઓ એકબીજાના મિત્રો હતા કે પછી સગા-સંબંધીઓ તે અંગે પણ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
– પૂર્વ પતિએ બનાવમાં ફરિયાદી ન થવાની શરતે મૃતદેહ સંભાળ્યો
પૂજા રાજગોરનાં માતા પિતાએ મૃતદેહને સંભાળવા નનૈયો ભણી દેતા પોલીસ મુંઝવણમાં મુકાઈ હતી. આખરે રાજકોટ રહેતા તેના પૂર્વ પતિ યશ ડોડીયાને જાણ કરાઇ હતી. અકસ્માતની ઘટનાનાં છ કલાક બાદ આખરે પૂજાનાં પૂર્વ પતિએ મૃતદેહ સંભાળવાની જવાબદારી લેતા પોલીસે પીએમ માટે તજવીજ હાથ ધરી હતી. રાજકોટનાં આહીર ચોકમાં રહેતા યશ ડોડીયા સાથે પૂજાએ વર્ષ-૨૦૨૫માં પ્રેમ લગ્ન કર્યા હતા, અને ફબુ્રઆરી-૨૦૨૬માં છુટાછેડા થઈ ગયા હતા. યશ ડોડીયાએ જણાવ્યું કે, છુટાછેડા બાદ પુજા સાથે કોઈ સંપર્ક ન હતો. અકસ્માતના બનાવ અંગે મને વકીલ દિનેશ પાતરે જાણ કરતા માનવતા ખાતર આવ્યો છું. જો પોલીસ મને બનાવ અંગે ફરીયાદી બનાવશે તો હું પરત ફરી જઇશ. પૂજા રાજગોર મૂળ જૂનાગઢની છે. બે બહેનો અને એક ભાઇનાં પરિવારમાં વચેટ હતી. તેનાં પિતા નિવૃત જીવન ગાળે છે. માતા-પિતાએ ત્રણ વર્ષથી પૂજા સાથે સબંધ તોડી નાખ્યા હોવાથી પૂજા રાજગોર રાજકોટ ખાતે હાલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત નિરાલી ગોહીલ સાથે રહેતી હતી. પૂજા ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં ૯૨૦૦૦ જેટલા ફોલોઅર્સ ધરાવતી હતી પરંતુ તેનાં અકસ્માતે થયેલા મૃત્યુ બાદ કોઇએ સંભાળ લેવાની દરકાર લીધી ન હતી.










