પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા જિલ્લામાં ૫૧ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ
હણોલ ખાતે વૃક્ષારોપણમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણીયા, રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વગેરે જોડાયા
ભાવનગર તા.૬/૦૬/૨૦૨૬
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા હણોલ ગ્રામ પંચાયતના ઉપક્રમે વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તે અંતર્ગત કુલ ૫૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું તેમજ ૨૧૦૦ વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ મહા મહોત્સવમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્ય અન્ન અને પુરવઠા મંત્રી નિમુબેન બાંભણીયા, ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી,જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.
ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષ સંવર્ધન અને જીવદયા સેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને વધુમાં વધુ લોકો પર્યાવરણ બચાવવાના આ અભિયાન સાથે જોડાય તેવી અપીલ કરી હતી.
પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ભાવનગર જિલ્લામાં વિવિધ જગ્યાએ ૫૧ હજાર વૃક્ષો વાવવામાં આવશે. આ મહા અભિયાનમાં અનેક યુવા યુવતીઓ જોડાયા છે. વધુ ને વધુ પર્યાવરણ પ્રેમીઓને જોડાવા આહવાન કરાયું છે.
દિવસભર વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમો દરમિયાન કુલ ૫૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૧૦૦ વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.










