![]()
Savarkundla Pre-Monsoon Work: ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે સ્થાનિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના મુખ્ય માર્ગો, નહેરો અને વોકળાઓ હજુ પણ કચરા અને ઝાડી ઝાંખરાથી ઉભરાઈ રહ્યા છે.
પ્રમુખના પોતાના વિસ્તારમાં જ સફાઈનો અભાવ
આશ્ચર્યની વાત એ છે કે સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખના પોતાના વિસ્તાર સહિત શહેરના હૃદય સમાન ગણાતા જેસર રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સફાઈ થઈ નથી. જેસર રોડ આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારોનું વરસાદી પાણી દર વર્ષે જે માર્ગેથી પસાર થાય છે ત્યાં કુદરતી વનસ્પતિ ઊગી નીકળી છે. જો સમયસર આ ઝાડી ઝાંખરા દૂર કરવામાં નહીં આવે, તો વરસાદી પાણીનો નિકાલ અટકી જશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પોલ ખોલી!
તંત્ર અને જનતા સામસામે: ગ્રાન્ટ મુદ્દે પણ વિરોધાભાસ
સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં તંત્ર દ્વારા માત્ર વેઠ ઉતારવામાં આવી છે. બીજી તરફ, સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરે જનતાના આક્ષેપોને નકારી કાઢતા એક નવો જ દાવો કર્યો છે. ચીફ ઓફિસરના જણાવ્યાનુસાર, પ્રિ-મોન્સુન કામગીરી માટે સરકાર તરફથી કોઈ વિશેષ ગ્રાન્ટ મળતી નથી અને પાલિકા પોતાના સ્વભંડોળમાંથી આ ખર્ચ કરે છે. શહેરના મુખ્ય નાળા અને મેઈન ચેમ્બર સાફ કરી દેવાયા છે. ચોમાસાની આફતોને પહોંચી વળવા માટે મશીનરી સજ્જ છે અને 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.
મીડિયાના સવાલ પર ચીફ ઓફિસરનો ગોળગોળ જવાબ
જ્યારે મીડિયાના પ્રતિનિધિઓએ ચીફ ઓફિસરને ઓન-ગ્રાઉન્ડ દેખાતા ઝાડી ઝાંખરા અને સફાઈ વગરના હોકળાઓ બતાવીને સવાલ પૂછ્યા, ત્યારે તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, ‘શહેરમાં હાલ તબક્કાવાર કામગીરી ચાલી રહી છે અને આગામી સમયમાં બાકી રહેલા વિસ્તારો પણ પૂર્ણ કરી દેવામાં આવશે.’
કાગળ પર નહીં, જમીન પર કામ કરો: લોકોની માગ
ચોમાસું માથે હોવાથી સાવરકુંડલાના રહીશોમાં ભારે ફફડાટ છે. સ્થાનિકોની માંગ છે કે પાલિકા તંત્ર કાગળ પર સંતોષ માનવાને બદલે તાત્કાલિક ધોરણે જેસર રોડ સહિતની સોસાયટીઓના નાળા સાફ કરે, જેથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી અટકાવી શકાય. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર સમયસર જાગીને લોકોને રાહત આપે છે કે પછી આ ચોમાસે પણ સાવરકુંડલાવાસીઓએ પાણીમાં ડૂબવાનો વારો આવશે.










