Gujarat Industrial Safety Failure: ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી વ્યવસ્થા સદંતર નિષ્ફળ ગઈ છે. ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મૂકાતા શ્રમિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઇન્સ્પેક્શનના નામે ચાલતા હપ્તારાજને પગલે ફેક્ટરી અકસ્માતોમાં 121 શ્રમિકોના મોત સાથે ગુજરાત સમગ્ર દેશમાં મૃત્યુદરમાં ટોચ પર પહોંચ્યું છે.
ગુજરાતમાં માનવ જીંદગીને જોખમમાં મૂકતાં અનેક ગેરકાયદે કેમિકલ એકમો
રાજ્યમાં હાલ 31,500 ફેક્ટરીઓ કાર્યરત છે, જેમાં અંદાજે 16.93 લાખ શ્રમિકો કામ કરી રહ્યા છે. શ્રમિકોના રાત-દિવસના શ્રમને કારણે જ ગુજરાતના પેટ્રોકેમિકલ, સિરામિક, હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જો કે, મેન્યુફેક્ચરિંગ અને કેમિકલના મોટા ક્લસ્ટર્સ ધરાવતા ગુજરાતમાં ફેક્ટરી ઇન્સ્પેક્શનની પ્રક્રિયા માત્ર કાગળ ઉપર જ સીમિત રહી ગઈ છે. ભ્રષ્ટાચાર અને હપ્તારાજની નીતિના કારણે નિર્દોષ શ્રમિકો ગમખ્વાર દુર્ઘટનાઓનો ભોગ બની રહ્યા છે.
માનવ જિંદગીને જોખમમાં મૂકતા ગેરકાયદે ઔદ્યોગિક અને કેમિકલ એકમો સરકારના આશીર્વાદથી ધમધોકાર ચાલી રહ્યા છે. એટલું જ નહીં, ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયાના વ્યવહારોના કારણે તંત્ર આ એકમો સામે કડક પગલાં ભરવાનું ટાળે છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. દરેકે મોટી દુર્ઘટના બાદ સરકાર કેમ! ભીનું સંકેલી લે છે તેવા સવાલો પણ ઉઠ્યા છે. અનેક કંપનીઓમાં ફાયર સેફટી કે અન્ય સુરક્ષાના પૂરતા સાધનો નથી. ફાયર! અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ દુર્ઘટના બાદ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે અને ફરી હપ્તાઓ લઈ ઘોર નિદ્રામાં સરી પડે છે.

જ્યારે પણ કોઈ નિદીષ શ્રમિક જાન ગુમાવે છે, ત્યારે સરકાર મૃતકના પરિવારજનોને બે-ચાર લાખ રૂપિયાની સહાય આપીને સંતોષ માની લે છે. આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે હવે માત્ર સહાય નહીં, પરંતુ વારંવાર બનતી આવી ગમખ્વાર દુર્ઘટનાઓ અંગે મંત્રીથી લઈને સંત્રી સુધી બધા જવાબદારો સામે કડક પગલાં ભરી તેમની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.










