RBI Dividend: કેન્દ્રીય રિઝર્વ બૅંક એટલે RBIએ સરકારને રૅકોર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આરબીઆઇએ કહ્યું કે, તેઓ નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપશે. જે નાણાકીય વર્ષ 2023-24માં આપવામાં આવેલા 2.1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ પહેલા નાણાકીય વર્ષ 2022-23 માટે આપેલું ડિવિડન્ડ 87,416 રૂપિયા હતું.
બેઠકમાં લેવાયો નિર્ણય
કેન્દ્રીય બૅંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં શુક્રવારે બેઠક યોજાઈ. જેમાં સ્થાનિક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન, ડિરેક્ટર બોર્ડે એપ્રિલ 2024 – માર્ચ 2025 દરમિયાન રિઝર્વ બૅંકની કામગીરીની પણ ચર્ચા કરી અને વર્ષ 2024-25 માટે રિઝર્વ બૅંકના વાર્ષિક અહેવાલ અને નાણાકીય નિવેદનોને મંજૂરી આપી. આ સાથે, બોર્ડે કેન્દ્ર સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાના સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી.
આ બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો કે, સુધારેલ આર્થિક મૂડી માળખું (ECF) હેઠળ આકસ્મિક જોખમ બફર (CRB)ને હવે વધારીને 7.5 ટકા કરાશે, જે પહેલા 6.5 ટકા હતું. જણાવી દઈએ કે, કોરોના મહામારીના સમયે આરબીઆઇની આર્થિક સ્થિરતાને ધ્યાનમાં રાખતા 5.5 ટકાનો CRB જાળવી રાખ્યો હતો, જેને ગત બે વર્ષમાં તબક્કાવાર 6 ટકા અને 6.5 ટકા સુધી વધારાયો હતો.
આરબીઆઇ શા માટે આપે છે ડિવિડન્ડ?
આરબીઆઇ પોતાના આર્થિક મૂડી માળખા(ECF)ના આધારે સરકારને ડિવિડન્ડ આપે છે. આ માળખું RBIના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં બનેલી નિષ્ણાત સમિતિના રિપોર્ટના આધારે ઑગસ્ટ, 2019માં લાગુ કરવામાં આવ્યું હતું. જાલાન સમિતિએ આરબીઆઇના હિસાબના 5.5થી 6.5 ટકાને આકસ્મિક જોખમ બફર (CRB) તરીકે રાખવાની ભલામણ કરી હતી. હવે તે વધારીને 7.5 ટકા કરવામાં આવશે. ગયા અઠવાડિયે, RBI બોર્ડે ECFની સમીક્ષા કરી. આ આધારે ફક્ત સરપ્લસ સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે.