![]()
Aadhaar App mandatory proposal withdrawn: ભારત સરકારે દેશમાં વેચાતા તમામ સ્માર્ટફોન્સમાં આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાના પોતાના મહત્વકાંક્ષી પ્રસ્તાવને પડતો મૂક્યો છે. આઈટી મંત્રાલયે સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ સાથેની ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે.
શું હતો UIDAIનો પ્લાન?
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ આ વર્ષની શરૂઆતમાં આઈટી મંત્રાલયને વિનંતી કરી હતી કે, તેઓ Apple, Google અને Samsung જેવી કંપનીઓ સાથે વાતચીત કરે. UIDAI નો ઉદ્દેશ્ય હતો કે, તમામ નવા સ્માર્ટફોનમાં આધાર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય. આનાથી સામાન્ય લોકો માટે બેંકિંગ અને ટેલિકોમ વેરિફિકેશન જેવી સેવાઓ સરળ બને. ડિજિટલ ઓળખની પહોંચ દરેક ભારતીય સુધી વધારી શકાય.
કેમ લેવાયો નિર્ણય પાછો?
અહેવાલ મુજબ, આઈટી મંત્રાલયે આ પ્રસ્તાવ પર સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ સાથે ગહન ચર્ચા કરી હતી. જોકે, એપલ અને સેમસંગ જેવી મોટી કંપનીઓએ આ મામલે કેટલીક ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. કંપનીઓનું માનવું છે કે ફરજિયાત એપથી યુઝરની પ્રાઈવસી પર અસર પડી શકે છે. સિક્યોરિટી રિસ્ક પણ છે. ડિવાઈસની સુરક્ષા અને સોફ્ટવેર કમ્પેબિલિટીને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઉત્પાદન ખર્ચ વધવાની આશંકા, પ્રી-લોડેડ એપ્સને કારણે પ્રોડક્શન કોસ્ટ વધી શકે તેવી પણ દલીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: હોર્મુઝમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પે કહ્યું- બ્લેકમેલિંગ નહીં ચાલે
બે વર્ષમાં 6ઠ્ઠી વખત પીછેહઠ
નોંધનીય છે કે, છેલ્લા બે વર્ષમાં આ 6ઠ્ઠી વખત એવું બન્યું છે જ્યારે સરકારે સ્માર્ટફોનમાં સરકારી એપ્સ ફરજિયાત બનાવવાનો પ્રયાસ કર્યો હોય અને કંપનીઓના વિરોધ બાદ પીછેહઠ કરવી પડી હોય. અગાઉ સંચાર સાથી એપને લઈને પણ આવો જ વિવાદ સર્જાયો હતો, જેમાં સરકારે અંતે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.
આધાર વિશે ખાસ માહિતી
આધાર એ ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન સાથે જોડાયેલી 12-અંકની ડિજિટલ ઓળખ છે. હાલમાં ભારતમાં 1.34 અબજથી વધુ લોકો બેંકિંગ, ટેલિકોમ વેરિફિકેશન અને એરપોર્ટ એન્ટ્રી જેવી સુવિધાઓ માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.










