![]()
સેબીની બોર્ડ મીટિંગમાં લેવાયા સંખ્યાબંધ નિર્ણયો
મુંબઈ તા.૧૨ : ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) લાવતી મોટી કંપનીઓ માટે ન્યુનમત શેરહોલ્ડિંગ વેચવા સંબંધિત ધોરણોને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ હળવા કર્યા છે. સેબી બોર્ડની આજે-શુક્રવારે મળેલી મીટિંગમાં મોટી કંપનીઓ માટે આઈપીઓ ધોરણોને હળવા કરવા સિવાય સોવરિન-બેક્ડ અને ઓવરસીઝ રિટેલ ફંડો માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા સ્થાનિક બજારોમાં પ્રવેશ મેળવવાનું સરળ કરાયું છે.
આ દરમિયાન સેબીએ લઘુતમ પબ્લિક ઓફર (એમપીઓ) અને લઘુતમ શેરહોલ્ડિંગ આવશ્યકતા (એમપીએસ) પૂર્ણ કરવા માટે સમયરેખામાં ફેરફારોને મંજૂરી આપી ચે. વર્તમાન સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટસ (રેગ્યુલેશન) નિયમો (એસસીઆરઆર) મુજબ રૂ.૧,૦૦,૦૦૦ કરોડથી વધુ ઈસ્યુ બાદ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતા ઈસ્યુઅર્સને રૂ.૫૦૦૦ કરોડ અને ઈસ્યુ બાદ માર્કેટ કેપિટલાઈઝેશનના ઓછામાં ઓછા પાંચ ટકા જાહેર જનતાને ઓફર કરવાનું ફરજિયાત છે.
મોટી કંપનીઓ માટે સુધારેલ એમપીઓ હજુ પણ બજારમાં, જેમાં રિટેલ રોકાણકારોનો પણ સમાવેશ થાય છે, એ પૂરતો સ્ટોક પૂરો પાડવા અને તરલતાની સુવિધા આપવા માટે પૂરતા મોટાપ્રમાણમાં રહેશે એમ સેબી ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું. મોટા ઈસ્યુઅર્સને નોંધપાત્ર હિસ્સો ઘટાડવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.
સેબી બોર્ડે નાણા મંત્રાલયને હાલના બે થ્રેશોલ્ડ ઉપરાંત ચાર વધારાના ઈસ્યુ બાદ માર્કેટ કેપ થ્રેસોલ્ડની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. સેબી દ્વારા કરાયેલી થ્રેશોલ્ડ ભલામણોમાં (૧) માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૬૦૦ કરોડ સુધી, લઘુતમ પબ્લિક ઓફર ૨૫ ટકામાં કોઈ ફેરફાર થશે નહીં. (૨) રૂ.૧૬૦૦ કરોડ અને રૂ.૪૦૦૦ કરોડ સુધીના માર્કેટ કેપિટલાઈઝેશન માટે રૂ.૪૦૦ કરોડ એમપીઓમાં કોઈ ફેરફાર થશે નહીં, લિસ્ટિંગની તારીખથી ત્રણ વર્ષમાં પ્રાપ્ત કરવાના ૨૫ ટકા એમપીએસ (મીનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ)માં પણ કોઈ ફેરફાર થશે નહીં. (૩) રૂ.૪૦૦૦ કરોડથી રૂ.૫૦,૦૦૦ કરોડ વચ્ચે માર્કેટ કેપિટલાઈઝેશન માટે એમપીઓ ૧૦ ટકા જાળવવામાં આવ્યું છે. (૪) રૂ.૫૦,૦૦૦ કરોડ અને રૂ.૧,૦૦,૦૦૦ કરોડ વચ્ચે માર્કેટ કેપિટિલાઈઝેશન માટે રૂ.૧૦૦૦ કરોડનો એમપીઓ અને ઈસ્યુ બાદ માર્કટ કેપિટલાઈઝેશનના ઓછામાં ઓછા ૮ ટકાની ભલામણ કરવામાં આવી છે. આ દરમિયાન, લિસ્ટિંગની તારીખથી પાંચ વર્ષની અંદર ૨૫ ટકા એમપીએસ પ્રાપ્ત કરવાનું રહેશે. વર્તમાન એમપીએસ જોગવાઈઓ મુજબ લિસ્ટિંગની તારીખથી ત્રણ વર્ષની અંદર ૨૫ ટકાની થ્રેશોલ્ડ પ્રાપ્ત કરવાનું રહે છે. (૫) રૂ.૧,૦૦,૦૦૦ કરોડથી રૂ.૫,૦૦,૦૦૦ કરોડ સુધીના માર્કેટ કેપિટલાઈઝેશન માટે રૂ.૬૨૫૦ કરોડનો એમપીઓ અને ઈસ્યુ બાદ માર્કેટ કેપના ઓછામાં ઓછા ૨.૭૫ ટકાનો પ્રસ્તાવ છે. જો લિસ્ટિંગની તારીખે પબ્લિક શેરહોલ્ડિંગ ૧૫ ટકા કરતાં ઓછું હોય, તો પાંચ વર્ષની અંદર ૧૫ ટકાનો એમપીએસ અને લિસ્ટિંગની તારીખથી ૧૦ વર્ષની અંદર ૨૫ ટકા પ્રાપ્ત કરવાનો રહેશે. (૬) રૂ.૫,૦૦,૦૦૦ કરોડથી વધુના માર્કેટ કેપ. માટે, રૂ.૧૫,૦૦૦ કરોડનો એમપીઓ અને ઈસ્યુ બાદ માર્કેટ કેપ.ના ઓછામાં ઓછા એક ટકા, ઓછામાં ઓછા ૨.૫ ટકા ઘટાડાને આધીન પ્રસ્તાવિત છે.
નિયામક તંત્ર સેબીએ શેરહોલ્ડિંગનની જરૂરીયાતોને ધીમે ધીમે પૂર્ણ કરવા માટે ઈસ્યુઅર્સને વિસ્તૃત સમયગાળો આપવાની ભલામણ કરી છે. નિયમનકારે આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે ૩૫ ટકા અનામત જાળવી રાખી છે. અન્ય ફેરફારોમાં સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં અંડરસબ્ક્રિપ્શન સ્પિલઓવરને મંજૂરી આપી છે. રૂ.૫૦,૦૦૦ કરોડથી રૂ.એક લાખનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓ માટે, હાલના ત્રણ વર્ષ કરતાં પાંચ વર્ષમાં ૨૫ ટકાની ન્યુનતમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) પ્રાપ્ત કરવાનું રહેશે.










