![]()
પશ્વિમ બંગાળમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે સોમવારે શહેરમાં સાંજે ૫:૩૦ કલાકે હરણીના ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી દોઢ કિલોમીટરનો એમનો રોડ શો યોજાશે.
વડાપ્રધાન મોદી અણખોલ ખાતે નિર્માણ પામેલા સરદારધામનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. એમના સ્વાગતર્થે ૧૫ સ્ટેજ અને ૧૬ બ્લોક ઊભા કરાયા છે. ૩૦ હજાર લોકો ઉપસ્થિત રહે તેવું આયોજન છે.
પશ્વિમ બંગાળની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને ખાસ થીમ તૈયાર કરાઈ છે. દુર્ગા પૂજાની પરંપરાગત ઝાંખી દર્શાવતું સ્ટેજ પણ બનાવાયું છે. શહેરમાં વસતા પશ્ચિમ બંગાળના એક હજાર નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહેશે.
આ રોડ શોમાં રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ અને શ્યામા પ્રસાદ મુખર્જી સહિતના મહાનુભાવોની વેશભૂષા અને ઝાંખીઓ પણ રજૂ કરાશે. સાથે ઓડિશા, આસામ અને પંજાબના લોકનૃત્યો ઉપરાંત ગરબા અને ભરતનાટ્યમ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે. ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળશે.
પૂર્વ સૈનિકો, વિવિધ જ્ઞાતિ સમાજોના ૫૦૦ જેટલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને લઈ શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનો ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે.








