Sri Lanka Ditwah Cyclone : ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ‘દિતવાહ’ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ભારે પવન અને વરસાદના કારણે શ્રીલંકામાં 56 લોકોનાં મોત થયા છે અને 20થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક વિનાશ વચ્ચે ભારતે શ્રીલંકાને તાત્કાલિક મદદ માટે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે વધુ શક્તિશાળી બની શકે છે.

ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે હંમેશા તત્પર : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઊંડી સંવેદના વ્યક્ત કરતાં લખ્યું છે કે, ‘શ્રીલંકાના એ લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે જેમણે વાવાઝોડું દિતવાહના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું તમામ પ્રભાવિત પરિવારોની સુરક્ષા, પુનર્વસન અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. અમારા સૌથી નજીકના દરિયાઈ પાડોશી શ્રીલંકા પ્રત્યે એકતા દર્શાવતા, ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ તાત્કાલિક રાહત સામગ્રીની સહાય મોકલી છે. ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝન મહાસાગરના માર્ગદર્શન હેઠળ, ભારત જરૂરિયાતના આ સમયમાં શ્રીલંકાની સાથે મજબૂતીથી ઊભું છે.’
ઓપરેશન સાગર બંધુ શરૂ : જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરએ એક્સ પર માહિતી આપી છે કે, ‘ઓપરેશન સાગર બંધુ શરૂ થઈ ગયું છે. આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગિરીએ કોલંબોમાં રાહત સામગ્રી સોંપી છે. વધુ મદદ કરવાની કામગીરી ચાલુ છે.’ નોંધનીય છે કે, ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS ઉદયગિરી હાલમાં કોલંબોમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2025માં સામેલ લઈ રહ્યા છે.
શ્રીલંકામાં રેસ્કયૂ માટે 20,000થી વધુ સૈનિકો તહેનાત
ન્યૂઝ એજન્સી સિન્હુઆએ શ્રીલંકાની સેનાને ટાંકીને કહ્યું છે કે, વાવાઝોડાથી આવેલી ભયંકર પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવા માટે દેશભરમાં 20,500થી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડના કારણે શ્રીલંકામાં 56 લોકોના મોત અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત દેશમાં વિમાની સેવા પણ ખોરવાઈ છે. અત્યાર સુધીમાં 3,490 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ
ભારત પર વાવાઝોડાનો ખતરો
દિતવાહ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુમાં પહેલી ડિસેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી છે અને ખાસ કરીને 29 અને 30 નવેમ્બરનો સમય સૌથી વધુ જોખમી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું રવિવારે સવારે દક્ષિણ ભારતના દરિયાકાંઠે પહોંચી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ










